અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપનઃ 7 દિવસમાં 45 લાખ ભક્તો ઉમટ્યાં, મંદિરને 7 કરોડ જેટલી આવક થઈ
સાત દિવસના મેળામાં 18.41 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ, કુલ 520 ગ્રામ સોનાનું મળ્યું દાન
Updated: Sep 29th, 2023
અંબાજીઃ (Ambaji Bhadarvi Poonam) ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં નું સાનિધ્ય પ્રાપ્ત કરવા કરવા માટે માં ના દ્વારે ઉમટી પડ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર પણ માં ના આશીર્વાદ લેવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને ધ્વજારોહણ કર્યું હતું. સતત સાત દિવસ સુધી ચાલેલા શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલા મોટા આયોજનને પહોંચી વળવું એ માં અંબાના આશીર્વાદ વગર શક્ય નહોતું એમ જણાવી કલેકટર વરુણકુમાર બરનવાલે માં અંબા ને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. તેમજ રાજ્ય સરકાર, સમગ્ર ટીમ બનાસકાંઠા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, સેવાભાવી સંસ્થાઓ સહિતનો આભાર માન્યો હતો.મેળામાં 45 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા છે. આ 6 દિવસમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને 6.89 કરોડની આવક થઇ છે.
79,480 ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો છે
ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે 29 સપ્ટેમ્બરના રોજ 6.18 લાખ ભક્તો ઉમટ્યા હતા. 79,480 ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો છે. 3.32 લાખથી વધુ પ્રસાદ વિતરણ પેકેટની વહેચણી કરવામાં આવી છે. 15 હજાર ચીખી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આજે મેળાના ચોથા દિવસે રૂ. 38,10,554ની ભંડાર, ગાદી ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક છે. તેમજ 81,46,031 લાખની પ્રસાદ વિતરણની આવક મળી કુલ 1,19,56,585 રૂપિયાની આવક ટ્રસ્ટને થઇ છે. 520 ગ્રામ સોનાની આવક થઇ છે. આજે 6 હજારથી વધુ દર્દીઓની આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કરવામાં આવી છે. તા. 23 સપ્ટેમ્બર થી શરૂ થયેલા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 29 મી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માં ના દર્શન માટે ઉમટ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આંનદ ઉલ્લાસ અને જય અંબેના જયઘોષ સાથે ઉમટી પડતાં શ્રદ્ધાનો સાગર છલકાયો હતો. માં ના દર્શને ભક્તો પગપાળા, બસમાં, ગાડીમાં એમ વિવિધ પ્રકારે અંબાજી આવ્યા હતા. અને પોતાની બાધા માનતા અને મનોકામના પૂર્ણ કરવા માતાજીને દંડવત દર્શન કરી ધન્યતા અનુભવી હતી.