કન્યા પૂજન દરમિયાન કેમ એક છોકરાને પણ બેસાડવામાં આવે છે, જાણો શું છે બટુકનું મહત્ત્વ
Navratri Kanya Bojan : નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. આવતીકાલ એટલે કે, 30 સપ્ટેમ્બર દુર્ગા અષ્ટમીની પૂજા કરવામાં આવશે. એ પછી બીજા દિવસે નવમીની પૂજા કરવામાં આવશે. નવરાત્રિના આઠમા દિવસે દેવી દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જ્યારે નવમા દિવસે દેવી દુર્ગાના મહિષાસુરમર્દિના રૂપની પૂજા કરવામાં આવે છે. આઠમા અને નવમા દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે. આ ઉપાસકો નાની કન્યાઓને તેમના ઘરે બોલાવીને તેમનું સ્વાગત કરે છે. દુર્ગા અષ્ટમી અને નવમી પર આ કન્યાઓને દેવીના સ્વરૂપ તરીકે પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન કન્યાઓ સાથે એક બટુક (છોકરો) જેને લંગુર અથવા લંગુરિયા તરીકે ઓળખવામાં આવે છે, તેને કન્યાઓ સાથે બેસાડવામાં આવે છે.
આ પણ વાંચો: દિવાળી અગાઉ દેવગુરુ બૃહસ્પતિનું ગોચર થશે, આ રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે
કેમ બટુકને બેસાડવામાં આવે છે
કન્યાઓ સાથે બેસાડવામાં આવતા આ 'લંગુર'ને બટુક ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, જેમ વૈષ્ણો દેવીના દર્શન કર્યા પછી ભૈરવના દર્શન કરવા જરૂરી છે, તેવી જ રીતે કન્યા પૂજન દરમિયાન જો કન્યાઓ સાથે લંગુરને બેસાડવામાં આવે તો પૂજા સફળ માનવામાં આવે છે. નવરાત્રિના આઠમા અને નવમા દિવસે આ કન્યાઓને થાળીમાં જે પ્રસાદ પીરસવામાં આવે છે તે જ પ્રસાદ લંગુરની થાળીમાં પણ પીરસવો ફરજિયાત છે.
કન્યા પૂજનની વિધિ
કન્યા પૂજન અને ભોજન માટે કન્યાઓને એક દિવસ પહેલા જ આમંત્રણ આપવામાં આવે છે. પૂજાના દિવસે જ્યારે તેઓ તમારા ઘરે આવે છે, ત્યારે ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરો અને દેવી દુર્ગાના નવ સ્વરૂપોનું ગાન કરો. ત્યારબાદ, તેમને સ્વચ્છ અને આરામદાયક જગ્યાએ બેસાડો. ત્યાર બાદ દૂધ ભરેલી થાળમાં તમારા હાથે તેમના ચરણોને ધોવો. પછી, તેમના મસ્તક પર ચોખા લગાવો, ફૂલો અને કુમકુમનું તિલક કરો. દેવી ભગવતીનું સ્મરણ કરતી વખતે કન્યાઓને ભોજન કરાવો. તેમને હલવો, પુરી અને ચણા ખવડાવો. એ પછી કન્યાઓને મનગમતી ભેટ આપો, પછી, તેમના પગ સ્પર્શ કરો અને આશીર્વાદ મેળવો.