આવતીકાલે ખગ્રાસ ચંદ્રગ્રહણ: જાણો ગ્રહણનો સમય અને તમારી રાશિ પર તેની શું અસર થશે
Chandra Grahan 2025: જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણ એક મહત્ત્વપૂર્ણ ખગોળીય અને જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. આવતી કાલ 7મી સપ્ટેમ્બર, 2025ના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે, જે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.
ખગોળીય ગણતરી મુજબ, આ ગ્રહણ રાત્રે 21.57 કલાકે શરૂ થશે અને તેનો મોક્ષ રાત્રે 25.26 (એટલે કે બીજા દિવસે સવારે 1.26 કલાકે) થશે. ગ્રહણનો વેધ બપોરના 12.57 કલાકથી શરૂ થશે. આ ગ્રહણ કુંભ રાશિ અને શતતારા નક્ષત્રમાં થવાનું હોવાથી તેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે.
આ પણ વાંચો: દિવાળી અગાઉ ગુરુનો શુભ સંયોગ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ
જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, આ ગ્રહણની વિવિધ રાશિઓ પર અલગ-અલગ અસર જોવા મળશે. ગ્રહણનું રાશિફળ નીચે મુજબ છે:
ગ્રહણ રાશિફળ
મેષ: વ્યવહાર અને વ્યવસાયમાં અનુકૂળતા રહેશે. કોઈ લાભની આશા ફળી શકે છે.
વૃષભ: સુખ અને શાંતિમાં વધારો થશે. પોતાના મનની ઈચ્છા પૂરી થાય તેવી કોઈ તક પણ મળી શકે છે.
મિથુન: સ્વમાન જાળવવામાં ક્યાંય જીદ્દી ન થવાય તેનું ધ્યાન રાખવું. જેટલા સરળ બનશો તેટલું સારું રહેશે.
કર્ક: કોઈ અચાનક સારા સમાચાર કે તક મળી શકે છે. મુસાફરી પણ થઈ શકે છે. ધીરજ રાખવી.
સિંહ: જાહેર જીવનમાં તમારા કોઈ કાર્યની નોંધ લેવાશે. કોઈની સાથે દલીલ ન કરવી.
કન્યા: પરિચિતો સાથે સુમેળ વધશે. કોઈ પસંદગીની વાત સાંભળવા મળી શકે છે.
આ પણ વાંચો: ચંદ્રગ્રહણ પછી કરો 2 વસ્તુઓનું દાન, બૅન્ક બેલેન્સમાં થવા લાગશે વધારો!
તુલા: મતભેદથી બચવું. વધુ પડતા માનસિક વિચારોથી દૂર રહેવું, જેથી શાંતિનો અનુભવ થાય.
વૃશ્ચિક: વાતચીત નિયંત્રણમાં રાખવાથી પરિસ્થિતિ હળવી રહેશે. મોજશોખ પર નિયંત્રણ રાખવું.
ધન: અટકેલા નાણાં કે કામ અંગે પ્રયત્ન કરવાથી લાભ સંભવિત છે. મુલાકાતો વધી શકે છે.
મકર: ધીરજ અને અનુભવથી કામ કરવાથી લાભ થશે. વ્યવહારુ અભિગમ સારો રહેશે.
કુંભ: સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી લાભ અપાવશે. ધીરજ અને પરિશ્રમ સારું ફળ આપશે.
મીન: વાતચીત અને વ્યવહારમાં જેટલું ધ્યાન આપશો તે મુજબ ફળ પ્રાપ્ત થશે. શાંતિ જાળવવી.