'ગટરના કીડાને અમૃત કુંડ પસંદ નહીં આવે', વિરોધીઓને પ્રેમાનંદ મહારાજનો જવાબ
Premanand Maharaj: સંત પ્રેમાનંદજી મહારાજે થોડા સમય પહેલા મહિલાઓને લઈને એક નિવેદન આપ્યું હતું, જેમાં કેટલાક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો, કેટલાક લોકોએ તેમની વાતમાં સહમતિ આપી હતી. જે બાદ ફરી વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ તેમના નિવેદનનો વિરોધ કરનારાઓ પર ટિપ્પણી કરતાં જોવા મળી રહ્યા છે. તેમણે વિરોધીઓ પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે, 'જે લોકો ગંદુ આચરણ કરી રહ્યા છે, તેમને આ ઉપદેશ ખરાબ લાગશે, ગટરના કીડાને અમૃત કુંડ પસંદ નહીં આવે.'
પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, 'સાચા રસ્તે ચાલનારાઓમાંથી એવા કેટલા છે, જે ત્યાં પહોંચી શકે છે. આ ખૂબ જ મુશ્કેલ છે, ભગવાનની માયાનું એક ચરિત્ર રચેલું છે. અમે આનાથી ખુશ છીએ. જેમ ગટરના કીડા ગટરમાં જ સુખનો અનુભવ કરે છે, ગટરના કીડાને ક્યારેય અમૃત કુંડ પસંદ નહીં આવે. જે આવા ગંદુ આચરણ કરે છે, તેમને સાચી વાતનો ઉપદેશ ખોટો જ લાગશે.'
સારા અને ખરાબ કેવી રીતે ઓળખશો: પ્રેમાનંદ મહારાજ
પ્રેમાનંદજી મહારાજે મળવા આવેલા બાળકોને સંબોધતા તેમણે કહ્યું કે, 'તમે બધા બાળકો અહીં સુધરવા આવ્યા છો. અમે કડવા શબ્દો પણ બોલીશું. ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનાવવાનું બંધ કરો. કોઈ નશો ન કરો. તમારા માતાપિતાની આજ્ઞાનું પાલન કરો. હવે જો તમે આને ખરાબ માનશો તો સંતો તમને ઉપદેશ નહીં આપે. શાસ્ત્રો સુધી તમારી પહોંચ નથી તો તમે કેવી રીતે જાણશો કે શું સારું છે અને શું ખરાબ.'
ભગવાનને ફરિયાદ ન કરો: પ્રેમાનંદ મહારાજ
તેમણે બાળકોને સંબોધિત કરતાં કહ્યું કે, 'તમને લાગે છે કે તમને સુખ જોઈએ છે. હવે સુખ વ્યસનમાં, વ્યભિચારમાં, ગંદા વિચારોમાં, ગંદા વર્તનમાં હોય તો તે તમને હતાશા તરફ લઈ જશે. તે તમને વિવિધ પ્રકારના આચરણોમાં ફસાવીને જેલમાં મોકલી દેશે.'
આ પણ વાંચો: રક્ષાબંધનના દિવસે ચંદ્રદેવનું થશે નક્ષત્ર પરિવર્તન, 2 રાશિના જાતકોને થશે મોટો લાભ!
'ભગવાનએ પોતાની સૃષ્ટિમાં બધુ જ બનાવ્યું છે'
તેમણે કહ્યું, 'ભગવાનએ પોતાની સૃષ્ટિમાં બધુ જ બનાવ્યું છે. આપણને શું પસંદ છે? આપણને ધર્મ પસંદ છે કે, અધર્મ, આપણને પાપ ગમે છે કે પુણ્ય. આપણે પોતાને સુધારવા પડશે. આપણે ભગવાનને ફરિયાદ ન કરવી જોઈએ કે, તમે માયા કેમ બનાવી છે.'