અંબાજી અને નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, શ્રદ્ધાળુઓનું ઘોડાપુર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Poshi Poonam, Ambaji and Santram Temple in Nadiad: આજે પોષી પૂનમ નિમિત્તે અંબાજી તેમજ નડિયાદના સંતરામ મંદિરમાં ભવ્ય ઉજવણી જોવા મળી. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રવિવારે સાંજે શ્રી શંભુ પંચ દશનામ આહ્વાન અખાડા ભૈરવ ધૂની દ્વારા આયોજિત ત્રિ-દિવસીય શાહી સ્નાનના કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ મહા ઉત્સવમાં સહભાગી થવા મોટી સંખ્યામાં નાગા બાબા, સાધ સંતો, મહંતોએ અંબાજી તીર્થધામમાં આવી પહોંચ્યા હતા. તો નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ ભવ્ય ઉજવણી જોવા મળી છે. સંતરામ મંદિરમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. જો બાળક બોલતું ના હોય તો સંતરામ મંદિરે બોર ઉછાળવાની બાધા રાખવાથી બાળકો બોલતું થાય છે. જેમાં ભક્તોની મનોકામના પૂર્ણ થતાં વહેલી સવારથી જ મંદિરમાં ભકતોની ભીડ જોવા મળી છે.
ત્રિ-દિવસીય ધાર્મિક ઉત્સવનો પ્રારંભ કરાયો
સુપ્રસિદ્ધ અંબાજી નજીક કોટેશ્વર તીર્થસ્થાને અસ્ખલિત ગુપ્ત સરસ્વતીના ગૌમુખ કુંડમાં મકર સંક્રાંતિના શાહી સ્નાનનો કાર્યક્રમ યોજાયો છે. જ્યાં ગઈ કાલે રવિવાર સાંજે શ્રી શંભુ પંચ દશનામ અખાડા ભૈરવ ધૂની માનસરોવર અંબાજી આયોજિત ત્રિ-દિવસીય ધાર્મિક ઉત્સવનો પ્રારંભ કરાયો હતો. મહંત વિજયગિરી મહારાજના જણાવ્યા પ્રમાણે માનસરોવર સ્થિત ભૈરવ ધૂની અતિ પ્રાચીન સમયની છે.
પહેલા દિવસે ધર્મ ધ્વજા રોહણ કરાશે
આ કાર્યક્રમમાં પહેલા દિવસે ધર્મ ધ્વજા રોહણ સાથે સાંજે શ્રી સિદ્ધિ ગણેશ ભગવાનની આરતી કરવામાં આવશે. બીજા દિવસે ગૌ માતા પૂજન, ભૈરવ આરતી, કુમારી પૂજન સાથે બાલિકા ભોજન અને સાંજે સંધ્યા ટાણે માનસરોવર કુંડમાં ગંગા આરતી કરવામાં આવશે. ત્રીજા દિવસે નાગા સંન્યાસી તથા સંત સમુદાયની સવારે 9-00 કલાકે શાહી શોભાયાત્રા ભૈરવ ધૂણીથી કોટેશ્વર શાહી સ્નાન માટે પ્રસ્થાન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ત્રિ-દિવસીય આ કાર્યક્રમમાં શ્રી શંભુ પંચ દશનામ આહ્વાન અખાડા તેમજ શ્રી અંબાજી શત સેવા મંડળના અગ્રણી એવા મહંત વિજયગિરી મહારાજના નેતૃત્વમાં યોજાશે.
તો અહીં સંતરામ મંદિરમાં બાળક બોલતું ના હોય તો બાધા રખાય છે
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં બોર ઉછાળવાનો વિશેષ મહિમા રહેલો છે. જે બાળક ન બોલતો હોય તેના માટે અહીં બોર ઉછાળવાની બાધા રાખવામાં આવતી હોય છે. જેથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, તે ભક્તો આજે વહેલી સવારથી આખા દિવસ દરમિયાન મંદિર પરિસરમાં આવી બોર ઉછાળી બાધા પૂર્ણ કરે છે. મંદિરમાં પૂનમના દિવસે બોર ઉછાળવાની પરંપાર 200 વર્ષ ઉપરાંતથી ચાલી આવે છે. બાળક જન્મ પછી બોલતું ન હોય, તોતડું બોલતું હોય કે ઓછું બોલતું બાળક વ્યવસ્થિત બાળક બોલતું થાય તે માટે બાળકના માતા-પિતા કે સ્વજનો સંતરામ મહારાજશ્રીની બાધા રાખે છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભક્તો માત્ર નડિયાદથી કે અમદાવાદ, વડોદરા નહીં પરંતુ દેશવિદેશમાંથી ભક્તો આજે વહેલી સવારથી મંદિર પરિસરમાં બોર ઉછાળવા માટે આવી પહોંચે છે.




