મહાદેવના 5 રહસ્યમયી મંદિર જ્યાંનો કોયડો આજ સુધી વિજ્ઞાનીઓ પણ ન ઉકેલી શક્યા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

5 Mysterious Lord Shiv Temples In India: આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને આ દિવસે લોકો ભગવાન શિવને જળ ચઢાવીને આશીર્વાદ મેળવે છે. ભારતમાં ભગવાન શિવના અસંખ્ય મંદિરો છે, જેમાંથી ઘણા વિશે આપણે બધા જાણીએ છીએ. પરંતુ આજે અમે તમને ભગવાન શિવના એવા 5 રહસ્યમય મંદિરો વિશે જણાવીશું જેના વિશે તમે કદાચ જ પહેલાં સાંભળ્યું હોય. આ મંદિરો સાથે સંકળાયેલા રહસ્યો અને માન્યતાઓ તમને હેરાન કરી દેશે. તો ચાલો જાણીએ.
સ્તંભેશ્વર મહાદેવ મંદિર
આ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કેમ્બે કિનારે અરબી સમુદ્રની મધ્યમાં આવેલું છે. લગભગ 150 વર્ષ પહેલા શોધાયેલ આ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણના રુદ્ર સંહિતામાં પણ સામેલ છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે તે દિવસમાં બે વાર થોડા સમય માટે ગાયબ થઈ જાય છે અને પછી ફરીથી દેખાવા લાગે છે. વાસ્તવમાં, ભરતીના કારણે સમુદ્રનું પાણી શિવલિંગને સંપૂર્ણપણે ઢાંકી દે છે, જેના કારણે મંદિર ડૂબી જાય છે. ભરતી ઓસર્યા પછી મંદિર ફરી દેખાય છે. ભક્તો અહીં દર્શન માટે ઉંચી અને નીચી ભરતીના સમય પર વિશેષ ધ્યાન આપે છે. દંતકથા પ્રમાણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યા પછી ભગવાન કાર્તિકેયે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી.
નિષ્કલંક મહાદેવ મંદિર
ગુજરાતના ભાવનગર જિલ્લાના કોળીયાક કિનારેથી લગભગ 3 કિલોમીટર દૂર દરિયામાં આવેલું આ મંદિર ખૂબ જ અનોખું છે. અહીં દરિયાની લહેરો દરરોજ શિવલિંગનો જળાભિષેક કરે છે. ભરતી દરમિયાન આ મંદિર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે અને માત્ર એક ધ્વજ જ દેખાય છે. ભરતી ઓસર્યા પછી ભક્તો પગપાળા અહીં પહોંચે છે. એવું માનવામાં આવે છે કે મહાભારત યુદ્ધ પછી પાંડવો તેમના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે અહીં આવ્યા હતા. ભગવાન કૃષ્ણના કહેવાથી તેમણે અહીં તપસ્યા કરી અને શિવલિંગની સ્થાપના કરી. આ જ કારણથી તેમને 'નિષ્કલંક' મહાદેવ કહેવામાં આવે છે.
અચલેશ્વર મહાદેવ મંદિર
રાજસ્થાનના ધોલપુરમાં ચંબલની બીહડો (કોતરો)ની વચ્ચે આવેલું આ મંદિર તેના અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે. અહીંના શિવલિંગનો રંગ દિવસમાં ત્રણ વખત બદલાય છે - સવારે લાલ, બપોરે કેસરી અને સાંજે કાળો. આજ સુધી આ રહસ્યનું કારણ કોઈ જાણી શક્યું નથી. બીજી ખાસ વાત એ છે કે આ શિવલિંગની ઊંડાઈ આજ સુધી જાણી શકાઈ નથી. એવું કહેવાય છે કે તેની ઊંડાઈ જાણવા માટે ખોદકામ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ અંત નહોતો મળ્યો.
લક્ષ્મેશ્વર મહાદેવ મંદિર
એવી માન્યતા છે કે, આ મંદિરની સ્થાપના ભગવાન રામે ખર-દુષણના વધ બાદ લક્ષ્મણના કહેવા પર કરી હતી. અહીં સ્થિત શિવલિંગને 'લક્ષ્યલિંગ' કહેવામાં આવે છે, જેમાં હજારો નાના-નાના છિદ્રો છે. આ છિદ્રોમાંથી એક છિદ્ર પાતાલગામી માનવામાં આવે છે, જેમાં ચઢાવવામાં આવેલ જળ સંપૂર્ણ રીતે સમાઈ જાય છે, જ્યારે એક છિદ્રમાં હંમેશા પાણી ભરાયેલું રહે છે, જેને અક્ષય કુંડ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ શિવલિંગને ચઢાવેલું જળ મંદિરની પાછળ સ્થિત કુંડમાં પહોંચે છે, જે ક્યારેય સુકાતું નથી.
બિજલી મહાદેવ મંદિર
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલું આ મંદિર તેના અદ્ભુત ચમત્કારો માટે જાણીતું છે. આ મંદિર વ્યાસ અને પાર્વતી નદીના સંગમ પાસે એક ઊંચા પર્વત પર આવેલું છે. અહીં દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે, જેના કારણે શિવલિંગ ખંડિત થઈ જાય છે. ત્યારબાદ પૂજારી શિવલિંગના ટુકડાને માખણથી જોડી દે છે, અને થોડા સમય પછી તે ફરીથી નક્કર સ્વરૂપમાં ફેરવાય જાય છે.
આ તમામ મંદિરોની વિશેષતાઓ અને તેમની સાથે જોડાયેલી માન્યતાઓ તેમને ખૂબ જ રહસ્યમય બનાવે છે. આ જ કારણ છે કે દર વર્ષે લાખો ભક્તો આ મંદિરોમાં દર્શન કરવા જાય છે.









