અમિયાદ-ધુવારણ રોડ ઉપર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
Updated: Apr 24th, 2024
- અમિયાદથી કણભા જતાં બાઈક ચાલકને અકસ્માત નડયો
આણંદ : અમીયાદ-ધુવારણ રોડ ઉપર સોમવારે બે ટુવ્હીલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક શખ્સનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે વીરસદ પોલીસે અજાણ્યા ટુવ્હીલર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાસણા ગામે ઈન્દિરા કોલોનીમાં રહેતા હિતેષકુમાર તુલશીદાસ મકવાણાના સાળા ધર્મેન્દ્રભાઈ કાન્તીભાઈ વણકર સોમવારે સવારે પોતાનું બાઈક લઈ અમીયાદથી અંગત કામે કણભા જવા નીકળ્યા હતા. દરમિયાન અમીયાદ-ધુવારણ પર અજાણ્યા એક્ટિવાના ચાલકે પુરઝડપે ટુવ્હીલર ચલાવી બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના પગલે ધર્મેન્દ્રભાઈ રસ્તા ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે હિતેષકુમાર મકવાણાએ વીરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Gujarat