અમરેલી: ખાંભા APMCની ચૂંટણીમાં ભાજપની જીત પણ ટાઈ પડતાં તાલુકા ભાજપ પ્રમુખ હાર્યા, કોંગ્રેસને ફાળે માત્ર 1 બેઠક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Khambha APMC election: અમરેલી જિલ્લાની ખાંભા APMCની ચૂંટણીમાં આજે ગુરુવારે મતગણતરીમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે, જ્યારે 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ દુધાત વિજેતા બન્યા છે. જો કે 10મી બેઠકનું પરિણામ ટાઈમાં અટવાતા ચૂંટણીનું ચિત્ર વધુ રસપ્રદ બન્યું હતું. અંતે ચિઠ્ઠી નાખવામાં આવતા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટની હાર થઈ હતી અને ભાજપના બળવાખોર નેતા સુરેશ નસીત વિજેતા જાહેર થયા હતા.
વેપારી વિભાગની 4 બેઠકો ભાજપને બિનહરીફ, ખેડૂતો વિભાગમાં 8 બેઠક પર કબજો
ખાંભા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં અગાઉ વેપારી વિભાગની 4 બેઠકો ભાજપને બિનહરીફ મળી હતી. જ્યારે ખેડૂત વિભાગની ચૂંટણીમાં 567માંથી 527 મતો પડ્યા હતા. મતગણતરી દરમિયાન 2 બૂથના 21 રાઉન્ડ અંતે 8 ભાજપ, 1 કોંગ્રેસ અને 10મા ઉમેદવાર વચ્ચે ટાઈ પડી હતી.

એક બેઠક ટાઈ પડી
આ બેઠક પર ખાંભા તાલુકા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ અને ભાજપના અસંતુષ્ટ જૂથના ઉમેદવાર સુરેશભાઈ નસીત વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. બંને ઉમેદવારોને સરખા 166-166 મત મળતા ટાઈ થઈ હતી, જેના કારણે વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી નાખવામાં આવી હતી. અંતે ભાજપના પ્રમુખ આનંદ ભટ્ટની હાર થઈ હતી અને સુરેશ નસીત વિજેતા જાહેર થતાં ખેડૂત વિભાગમાં 8 ભાજપ, 1 કોંગ્રેસ અને 1 અસંતુષ્ટ ઉમેદવાર વિજેતા થયા હતા.

કોને કેટલા મત મળ્યા?
ખેડૂત વિભાગમાં મળેલા મતો અનુસાર ભરત સખવાળાને 224 મત, બાવભાઈ ભમ્મરને 221 મત, રમેશભાઈ તંતીને 205 મત, વિનુભાઈ રૈયાણીને 203 મત, મેરામભાઈ વાઘોસીને 194 મત, શાંતિલાલ ઠુમ્મરને 194 મત, લાભુભાઈ ગજેરાને 193 મત, ભરતભાઈ દુધાતને 186 મત અને અશ્વિનભાઈ સેંજલીયાને 183 મત મળ્યા હતા. આ ઉપરાંત સુરેશભાઈ નસીત અને આનંદભાઈ ભટ્ટ બંનેને 166 મત મળ્યા હતા. ચિઠ્ઠી દ્વારા થયેલા ફેસલામાં સુરેશ નસીતનો વિજય થયો હતો. તાલુકા ભાજપ પ્રમુખે આ પરિણામ સ્વીકારીને ખેડૂતોએ મૂકેલા વિશ્વાસને ટકાવી રાખવા મહેનત કરવાની વાત કરી હતી.




