વાઈબ્રન્ટ ગુજરાતની ઝાકમઝોળ વચ્ચે જગતના તાતનો આક્રંદ, વીજપોલ નીતિ મુદ્દે રાજ્યભરમાં આંદોલનની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Farmers Protest: એક બાજુ, રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાતમાં મશગૂલ છે, ત્યારે મોરબી અને જેતપુરના ખેડૂતો છેલ્લા 12 દિવસથી અન્નનો ત્યાગ કરી ન્યાયની ભીખ માગી રહ્યા છે. ચૂંટણી સમયે મતોની ભીખ માંગતા મંત્રીઓ પાસે આજે જગતના તાત માટે સમય સુદ્ધાં નથી. આ પરિસ્થિતિ વચ્ચે હવે ગુજરાત ભારતીય કિસાન સંઘે પણ રહી રહીને આંદોલનમાં ઝંપલાવ્યું છે. કિસાન સંઘે ચીમકી આપી છે કે, જો રાજ્ય સરકાર વીજપોલની નીતિ નહીં ઘડે તો, રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે.
'ભાજપ સરકાર ખેડૂતો પ્રત્યે ગંભીર નથી'
અત્યારસુધી ખેડૂતોની સહાનુભૂતિ જીતવા કોંગ્રેસ અને આપે ધમપછાડા કર્યા. હવે ગુજરાત કિસાન સંઘ પણ ખેડૂતોના મસીહા બનવા મેદાને પડ્યું છે. કિસાન સંઘે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, 'જે ધરતી પર સરદાર પટેલે ખેડૂતો માટે બારડોલી સત્યાગ્રહ કર્યો હતો, તે જ ગુજરાતમાં આજે ખેડૂતોને પોતાના હક્ક માટે 12-12 દિવસ સુધી ભૂખ્યા બેસવું પડે તે શરમજનક બાબત છે. એવો પણ આક્ષેપ કરાયો કે, ભાજપ સરકારને તો જાણે ખેડૂતોની કોઈ ચિંતા જ નથી. ખેડૂતોના પ્રશ્નો સાંભળવાને બદલે મંત્રીઓ સરકારી કાર્યક્રમો અને વીઆઇપી સંસ્કૃતિમાં વ્યસ્ત છે.'
ખેડૂતોની મુખ્ય નારાજગી એ વાત પર છે કે ખેતરોમાંથી પસાર થતા વીજપોલ ને કારણે જમીન બગડી રહી છે અને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. વિકાસના નામે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરી લેવાય છે, પરંતુ જ્યારે વળતર ચૂકવવાની વાત આવે ત્યારે સરકારના ખિસ્સા ખાલી થઈ જાય છે. કિસાન સંઘે માગ કરી છે કે, ખેડૂતના હિતમાં એક યોગ્ય અને સંગત નીતિ ઘડવી જરૂરી છે.
કિસાન સંઘે સરકારને અલ્ટીમેટમ આપ્યું કે, જો મોરબી અને જેતપુરના ખેડૂતોને વહેલી તકે ન્યાય નહીં મળે, તો આ આંદોલન એકાદ બે ગામડા પૂરતું સીમિત નહીં રહે. આગામી દિવસોમાં કિસાન સંઘ સત્તાવાર રીતે આંદોલનમાં જોડાશે અને સમગ્ર ગુજરાતમાં આંદોલનની જ્વાળા ફેલાવશે. આ ઉપરાંત ખેડૂતો રસ્તા પર ઉતરે તે પહેલાં સરકાર પ્રશ્નો ઉકેલે નહીં તો, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો, સરકારની નુકસાનની જવાબદારી સરકારની રહેશે.
પ્રશ્નોનો ઉકેલનો ઈરાદો ઓછો, રાજકારણ રમવાનો ઈરાદો વધુ: આંદોલનકારી હાથો બન્યા
ખેડૂત આંદોલનના નામે રાજનીતિ જામી છે, ત્યારે કોંગ્રેસ અને આપ પણ ખેડૂતોની સહાનુભૂતિ જીતવા ધમપછાડા કરી રહ્યા છે. તેમાં હવે કિસાન સંઘે પણ ઝુકાવ્યું છે. આંદોલનની આડમાં આંદોલનકારી નેતાઓ વિપક્ષોના હાથો બન્યા હોય તેમ લાગી રહ્યું છે. નિર્દોષ ખેડૂતોને આગળ ધરીને મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ લાવવાનો ઈરાદો ઓછો અને રાજકારણ રમવાનો ઈરાદો વધુ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ખુદ સરકારે આમંત્રણ મોકલ્યું હોવા છતાં ખેડૂત નેતાઓ ચર્ચા કરવાને બદલે પ્રસિદ્ધિ મેળવવા આંદોલનને આગળ ધપાવી રહ્યા હોય તેમ ખુદ ખેડૂતો જ કહી રહ્યા છે.
60 ગામમાં સરપંચોએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું
મોરબી-જેતપર ખેડૂત આંદોલન આજે 12મા દિવસમાં પ્રવેશ્યું છે, ત્યારે આંદોલનને વધુને વધુ જનસમર્થન સાંપડી રહ્યું છે. મોરબી જિલ્લાના આસપાસના 60થી વધુ ગામોના સરપંચો પણ ઉપવાસ છાવણીએ જઈને આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. સરકારે ચર્ચા કરવાનું આમંત્રણ આપ્યું હોવા છતાંય ખેડૂતો તસથી મસ થવા તૈયાર નથી.
જેતપર બાદ હવે ગોંડલમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસ
ખેડૂત આંદોલનની જ્વાળા હવે ધીરે ધીરે રાજ્યમાં પ્રસરી રહી હોય તેવું ચિત્ર ઉભર્યું છે કેમકે, મોરબી-જેતપર બાદ હવે ગોંડલના માવિયા ગામમાં વીજપોલ સહિત અન્ય મુદાઓને લઈને ખેડૂતોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. આસપાસના ગામડાની મહિલાઓ સહિત ખેડૂતો પ્રતિક ઉપવાસમાં જોડાઈ રહ્યા છે. કાલાવડથી ઘેલા સોમનાથ સુધી હેવી વીજ લાઈન નાંખવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા છે. વળતર ચૂકવવાની વાત આવે ત્યારે સરકારના ખિસ્સા ખાલી થઈ જાય છે. કિસાન સંઘે માંગ કરી છે કે ખેડૂતોના હિતમાં એક યોગ્ય અને સંગત નીતિ ઘડવી જરૂરી છે.









