નાંદેડ હોસ્પિટલમાં મોત અંગે સંજય રાઉતના મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર, આરોગ્ય મંત્રી પર લગાવ્યા ગંભીર આરોપ
Updated: Oct 3rd, 2023
- નાંદેડ હોસ્પિટલમાં થયેલા મોત મામલે એકનાથ શિંદે સરકાર ગંભીર
- નાંદેડ હોસ્પિટલમાં થયેલા મોત મુદ્દે મહારાષ્ટ્ર સરકાર આજે કેબિનેટની બેઠક કરશે
નાંદેડ, તા. 03 ઓક્ટોબર 2023, મંગળવાર
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો હતો ત્યારે હવે સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વધુ સાત દર્દીઓના મોતથી 36 કલાકમાં હોસ્પિટલમાં મૃતકોની સંખ્યા 24થી વધીને 31 થઈ ગઈ છે. ત્યારે હવે આ મામલે વિપક્ષે સરકારને ઘેરી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે આરોગ્ય વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.
આરોગ્ય મંત્રી પર લગાવ્યા ગંભીર આરોપ
સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રની આરોગ્ય સ્થિતિ હંમેશા ઉપર રહી છે પરંતુ છેલ્લા 1 વર્ષથી મહારાષ્ટ્રના તમામ સરકારી વિભાગ જે રીતે કામ કરી રહ્યા છે તે હિસાબે ન તો આરોગ્ય મંત્રીને ચિંતા છે, ન તો આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે અને ન તો ડોક્ટર્સ કામ કરી રહ્યા છે. કોઈનું નિયંત્રણ નથી. આરોગ્ય વિભાગ મહારાષ્ટ્રમાં સૌથી ઉપેક્ષિત વિભાગ છે. સાંસદ સંજય રાઉતે ગોરખપુર ઓક્સિજન કાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગોરખપુરમાં ઓક્સિજનની અછતના કારણે 200થી વધુ બાળકોના મોત થઈ ગયા હતા. સંજય રાઉતે દેશની આરોગ્ય વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા એક દોઢ વર્ષથી મહારાષ્ટ્રમાં આરોગ્ય વ્યવસ્થા પૂરી રીતે ચોપટ થઈ ગઈ છે.
તપાસ સમિતિની થઈ શકે છે રચના
નાંદેડ હોસ્પિટલમાં થયેલા 31 લોકોના મોત મામલે એકનાથ શિંદે સરકાર ગંભીર નજર આવી રહી છે. નાંદેડ હોસ્પિટલમાં થયેલા મોત મુદ્દે મહારાષ્ટ્ર સરકાર આજે કેબિનેટની બેઠક કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, કેબિનેટ આ બેઠકમાં નાંદેડ હોસ્પિટલમાં થેયલા મોત અંગે ચર્ચા કરશે. કેબિનેટ બેઠકમાં આ ઘટના અંગે તપાસ સમિતિ બનાવવા પર પણ નિર્ણય કરી શકે છે.
શું છે સમગ્ર મામલો
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલ ડો. શંકરરાવ ચ્વહાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 36 કલાકમાં 12 શિશુઓ સહિત 31 દર્દીઓના મોત થઈ ગયા છે. જેમાં 12 નવજાત શિશુઓ સામેલ છે. હોસ્પિટલના બાળઆરોગ્ય વિભાગમાં 142 બાળકો દાખલ છે જેમાંથી 42 નવજાત શિશુઓની હાલત ગંભીર છે.
વધુ વાંચો : નાંદેડની સરકારી હોસ્પિટલમાં વધુ 7 દર્દીઓના મોત, 36 કલાકમાં મૃતકોની સંખ્યા 31 પર પહોંચી