સુપ્રીમ કોર્ટના આદેશ બાદ PM મોદીનું નિવેદન, વિપક્ષે EVM પર શંકા પેદા કરવાનું પાપ કર્યું છે
Updated: Apr 26th, 2024
Lok Sabha Elections 2024: ઈવીએમ અને વીવીપેટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે (26મી એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. બિહારના અરરિયામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, 'આજે (26મી એપ્રિલ) સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બેલેટ પેપરનો યુગ પાછો નહીં આવે. આજે મતપેટીઓ લૂંટનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. જ્યારે આખી દુનિયા ભારતની સિસ્ટમના વખાણ કરી રહી છે, ત્યારે આ લોકો હવે અંગત સ્વાર્થમાં ખરાબ ઈરાદા સાથે ઈવીએમને બદનામ કરવામાં લાગ્યા છે.'
વિપક્ષે ઈવીએમ પર આશંકા પેદા કરવાનું પાપ કર્યું: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આજે લોકશાહી માટે ખુશીનો દિવસ છે. અગાઉ આરજેડી અને કોંગ્રેસના શાસનમાં બેલેટ પેપરના નામે લોકોના અધિકારો લૂંટવામાં આવ્યા હતા. તેમની સરકારમાં ચૂંટણીમાં મત લૂંટાય છે. એટલા માટે તેઓ ઈવીએમને હટાવવા માગે છે. I.N.D.I.A. ગઠબંધનના દરેક નેતાએ ઈવીએમ અંગે લોકોના મનમાં આશંકા પેદા કરવાનું પાપ કર્યું છે. સુપ્રીમ કોર્ટે લોકોને આ રીતે ફટકાર લગાવી હતી. વિપક્ષે માફી માગવી જોઈએ.'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે જ્યારે આખી દુનિયા ભારતની લોકશાહી, ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણીમાં ટેક્નોલોજીના ઉપયોગના વખાણ કરે છે ત્યારે આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ઈવીએમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓએ લોકશાહી સાથે દગો કરવાનો સતત પ્રયાસ કર્યો છે. ચૂંટણી વખતે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
સુપ્રીમ કોર્ટે આજે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા મતની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજી પર મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં વીવીપેટ સ્લિપમાં બાર કોડ પર પણ વિચાર કરવો જોઈએ. આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ પણ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમકોર્ટે તેના ચુકાદામાં વધુમાં કહ્યું કે, 'ચૂંટણીના પરિણામ આવી ગયાના સાત દિવસ સુધીમાં ઉમેદવારો તપાસની માગ કરી શકશે અને તેના માટે જે કંઈ ખર્ચ આવશે તો તે ઉમેદવારે ભોગવવાનો રહેશે.' આ સાથે સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, 'વીવીપેટની તમામ સ્લિપ સાથે ઈવીએમને મેચ નહીં કરવામાં આવે.'