તો રૂપાલા બિનહરીફ થઈ ગયા હોત...! કુંભાણી જેવો કાંડ થતાં રહી ગયો, કોંગ્રેસના નેતાનો ઘટસ્ફોટ
Updated: Apr 25th, 2024
Lok Sabha Elections 2024: સુરતમાં જે રીતે કોંગ્રેસ સાથે દાંવ થયો એનાથી સૌ કોઈ વાકેફ છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા પાછળ કોઈને કોઈ ગેમ રમાઈ હોવાની ચર્ચા ચારેકોર થઈ રહી છે. ફોર્મ રદ થયા બાદથી કુંભાણી પણ ગુમ છે. એવામાં ગુજરાતની જ વધુ એક બેઠક એવી હતી કે જ્યાંના ભાજપના ઉમેદવાર રૂપાલાને બિનહરિફ જીતાડવાનો કારસો રચાઈ ગયો હતો. જોકે આ ઉમેદવાર સામે તો ખુદ ક્ષત્રિયોએ બાંયો ચઢાવી છે.
માહિતી અનુસાર કોંગ્રેસ નેતા ડૉ. વસાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીમાં જઈને પરત કોંગ્રેસમાં આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ (Indranil Rajyaguru) તથા વશરામ સાગઠીયા (Vashram Sagathiya) અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય લલિત કગથરા (Lalit Kagathara)એ વિક્રમ સોરાણીને ઉમેદવાર બનાવવાની માંગણી કરી હતી અને અમે તે કોંગ્રેસના કમિટેડ નેતા નથી તેમ કહીને વિરોધ કર્યો ત્યારે અમારી સામે શિસ્તભંગના પગલા લેવાની ચીમકી પણ અપાઈ હતી. હવે તા. 27ના સોરાણી ભાજપમાં ભળી રહ્યાની વાત બહાર આવી છે ત્યારે જો તેમને રાજકોટની ટિકિટ મળી હોત તો સુરત (Surat)ના કુંભાણી જેવો જ કાંડ રાજકોટમાં થઈ ચૂક્યો હોત તેવું સ્પષ્ટ જણાય છે. શહેર કોંગ્રેસ પ્રમુખનો આ અંગે સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે સોરાણી ભાજપમાં ભળી રહ્યાના અહેવાલો આવ્યા છે.
દાયકાઓથી કોંગ્રેસમાં રહેલા નેતાઓએ સુરતના નીલેશ કુંભાણી સામે હજુ કોંગ્રેસે કોઈ પગલા નથી લીધા તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને એવી માંગણી કરી છે કે સુરતમાં આ વિશ્વાસઘાત કરનારને ટિકિટ કોંગ્રેસના જે મોટા નેતાઓએ અપાવી છે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. આવા નેતાઓને કારણે જ કોંગ્રેસમાં આવી ઘટનાઓ વારંવાર બને છે.