સુરતના કોંગ્રેસી ઉમેદવાર કુંભાણીની મુશ્કેલી વધી, ચૂંટણીપંચ કરશે તપાસ, સજાની શું છે જોગવાઈ?
Updated: Apr 24th, 2024
Lok Sabha Elections 2024: સુરત લોકસભામાં રયાયેલા હાઈવોલ્ટેજ ડ્રામામાં કોંગ્રેસ (Congress)ના ઉમેદવારે જે સમર્થકો પાસે ખોટી સહીઓ કરાવી છે તે તપાસનો વિષય બન્યો છે. આ એક ગંભીર પ્રકારનો ગુનો છે. જો ચૂંટણી પંચ (Election Commission) કોઇ પગલાં લેશે તો કોંગ્રેસના પૂર્વ ઉમેદવારને હવે નવી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
નામાંકન પત્રમાં કરેલી સહીઓ જો ખોટી હોય તો કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણી (Nilesh Kumbhani) સામે પગલાં કેમ નહીં તેવા એક સવાલના જવાબમાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારનું ફોર્મ સમર્થકોની ખોટી સહીના કારણે રદ થયું હતું તે નિયમસરની પ્રક્રિયા છે પરંતુ ઉમેદવારે કરાવેલી ખોટી સહીઓ તપાસના દાયદામાં આવી શકે તેમ છે.
તેમણે કહ્યું હતું કે ખોટી સહીઓ બાબતે સુરત જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી પાસેથી અમે ડિટેઇલ રિપોર્ટ મંગાવવાના છીએ અને તપાસના અંગે કસૂરવાર હશે તો પગલાં પણ લેવાશે. ચૂંટણી પંચ ત્યારે જ પગલાં લઈ શકે છે જ્યારે રીપોર્ટ મળે પરંતુ ખોટી સહીઓ એ ઈન્વેસ્ટીગેશનનો મુદ્દો તો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને સાંસદનું સર્ટિફિકેટ આપતાં પહેલાં ચૂંટણી પંચ રિપોર્ટ મંગાવી શક્યું હોત। પરંતુ આટલો મોડો રિપોર્ટ મંગાવવાનું કારણ શું છે તેવા સવાલના જવાબમાં પંચ પાસે યોગ્ય જવાબ ન હતો.
માત્ર એટલું કહેવાયું છે ચૂંટણી પ્રક્રિયામાં આવતી કાર્યવાહી કરવામાં આવી છે. જો કે અમારી સમક્ષ હજી સુધી કોઈ ફરિયાદ આવી નથી.સુરતમાં કોંગ્રેસ- સિવાયના બીજા પક્ષ અને અપક્ષ- ઉમેદવારોને શોધવા માટે કેમ પોલીસ- દોડાવવામાં આવી હતી તેવા સવાલના- જવાબમાં સમશેરસિંઘે કહ્યું હતું કે કોઈ ઉમેદવાર રક્ષણ માગે તો પોલીસ તેને પ્રોટેક્શન આપતી હોય છે પરંતુ આ કિસ્સામાં કોઈ ઉમેદવાર ગુમ થયો નથી કે પોલીસ તેને શોધવા ગઈ નથી.
આ ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમો મુજબ બેથી સાત વર્ષની સજા થઈ શકે છે
જો ઉમેદવારના ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનારની ખોટી/બોગસ સહીઓ કરવામાં આવેલ હોય તો ભારતીય દંડ સંહિતાની કલમ-૪૬૪, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ ગુનો બને છે. જો દરખાસ્ત કરનારાઓ દ્વારા અમારી સહી નથી તે અંગેનું ખોટું સોગંદનામું કરવામાં આવ્યું હોય તો ભારતીય દંડ સંહિતાની કલમ-૧૯૧, ૧૯૨, ૧૯૩, ૧૯૬, ૧૯૯, ૨૦૦, મુજબ ગુનો બને છે. આ કલમો હેઠળ બે થી સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.