'છાતી ઠોકીને 8 જિલ્લામાં ભાજપને ક્ષત્રિયોનો પાવર બતાવીશું...' રૂપાલા વિવાદમાં આગેવાનનો દાવો
22 તારીખ સુધીનું અલ્ટીમેટમ પણ આપ્યું...
Updated: Apr 20th, 2024
Lok Sabha Elections 2024: રૂપાલા વિવાદ (Rupala controversy) હવે ભાજપ માટે માથાનો દુઃખાવો બનતો જઈ રહ્યો છે. આ મામલે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાએ એક મોટું નિવેદન આપ્યું છે. રૂપાલા વિવાદમાં તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડ્યાં નથી. અમે ભાજપને કહી દેવા માગીએ છીએ કે હવે તેની પાસે બે દિવસનો સમય છે.
પી.ટી.જાડેજાએ ભાજપને ચેતવ્યો...
આગામી 22 તારીખ સુધીમાં જો રૂપાલા તેમનું ઉમેદવારી ફોર્મ પરત નહીં ખેંચે તો જોવા જેવી થશે અને ભાજપ (BJP) જાણી લે કે ક્ષત્રિયોના આંદોલનથી તેને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. અમારા આંદોલનની અસર લગભગ 8 જેટલી બેઠકો પર થશે અને ભાજપ આ બેઠકો ગુમાવવા તૈયાર રહે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ એકજૂટ છે. પૈસા લઈને આ આંદોલન કરાતું હોવાના દાવાને પણ તેમણે ફગાવતાં કહ્યું કે જે લોકો આવું કરતાં હશે તે ખરેખર તો ક્ષત્રિય જ નહીં હોય.
રૂપાલા અંગે કહ્યું - તેમને ભગવાન સદબુદ્ધિ આપે
ક્ષત્રિય આંદોલનના આગેવાન પી.ટી.જાડેજા (P.T. Jadeja)એ કહ્યું કે રૂપાલાને ભગવાન સદબુદ્ધિ આપે તેવી અમને આશા છે. રૂપાલાએ આ વિવાદનો અંત લાવવા માટે ઘણાં પ્રયાસો કર્યા છે પરંતુ તે સફળ થવાના નથી. તેમણે કહ્યું કે અમે કર્મયુદ્ધ લડી રહ્યા છીએ, ભગવાનને સાક્ષી રાખીને અમે રૂપાલાને હરાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. આ કોઈ હાર-જીત માટેની લડાઈ નથી. 8 જિલ્લામાં અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમારો પ્રભાવ દેખાશે.