રાષ્ટ્રહિતમાં વિવાદો નજરઅંદાજ...: ગુજરાતનાં 15 રાજવી પરિવારોનું મોદીને ખુલ્લુ સમર્થન, ક્ષત્રિય આંદોલનનું શું થશે?
Updated: May 2nd, 2024
Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિયો દ્વારા ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતના 15 રાજવી પરિવાર અને 46 જેટલા રાજવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. આજે (બીજી મે) રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, 'રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને પરાક્રમીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. તો આપણે પ્રચંડ જનસમર્થન બતાવીને પૂર્ણ બહુમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીએ.'
રાજવીઓનું સંપૂર્ણ સમર્થન વડાપ્રધાન મોદી: માંધાતાસિંહ જાડેજા
રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'અયોધ્યા રામ મંદિર હોઈ કે પછી બેટ દ્વારકાનો વિકાસ કરવાનો હોય. આ સાથે અંબાજી મંદિર અને સોમનાથનો વિકાસ પણ તેમણે કર્યો છે. રાજવીઓ જેમ કાર્ય કરતા હતા તેમની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્ય કરી રહ્યા છે. કમળનું ફૂલ શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે. રાજવીઓનું સંપૂર્ણ સમર્થન વડાપ્રધાન મોદી સાથે છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે
એકબાજુ ગુજરાતમાં રાજવી પરિવારો ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થનામાં છે, તો વળી બીજી તરફ ક્ષત્રિય સંકલન સમિતિ સતત વિરોધ કરી રહ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ આણંદ બાદ સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધી હતી. હવે આજે તેઓ જૂનાગઢ અને જામનગરમાં પણ ચૂંટણી રેલી કરશે.