Updated: May 3rd, 2023
- કાયમી ધોરણે ફાટક બંધ કરી દેવાથી વેપારીઓને ધંધા પર અસર થવાથી ભારે વિરોધ
- લોકોએ વિકાસ સામે વાંધો નથી પણ લોકોની અવર જવર માટે સુવિધા નહી કરાતા આક્રોશ ઠાલવ્યો
વાપી,તા.03 મે 2023,બુધવાર
પારડીના ઉદવાડા રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા લોકોમાં ભારે વિરોધ ઉઠ્યો હતો. રાહદારીઓની અવરજવર માટે પણ કોઇ સુવિધા નહી કરાતા આજે બુધવારે વેપારી, આગેવાનો સહિત લોકો ફાટક પર ભારે વિરોધ કરી રેલવે સામે આક્રોશ ઠાલવ્યો હતો. વેપારીઓએ પણ દુકાન સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. રેલવેના અધિકારીને લોકોને પડતી મુશકેલી અંગે રજૂઆત કરી હતી.
વાપી : ઉદવાડા રેલવે ફાટક બંધ કરી દેવાતા વેપારી સહિત લોકોનુ વિરોધ પ્રદર્શન#Vapi #Udwada #Railwaygate #Protest #Pardi #ProtestOfTraders pic.twitter.com/VfmxximPqW
— Gujarat Samachar (@gujratsamachar) May 3, 2023
પારડીના ઉદવાડા રેલવે ફાટક ફ્લાય ઓવરના નિમાર્ણને લઇ વેપારીઓ કે લોકોને જાણ કર્યા વિના કાયમી ધોરણે બંધ કરી દેવાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. રેલવે દ્ધારા ફાટકની બન્ને તરફ લોખંડની એન્ગલો લગાવી દેતા રાહદારીઓને આવાગમન કરવામાં મુશકેલી ઉભી થઇ છે. રેલવે સ્ટેશન માસ્તરને રજૂઆત પણ કરાયા બાદ કોઇ પરિણામ આવ્યું ન હતું. આજે બુધવારે વેપારી, આગેવાનો, જનપ્રતિનિધી સહિત લોકોએ રેલવે ફાટક પર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એટલું જ નહી રેલવે સ્ટેશને પહોંચી અધિકારીને રજૂઆત કરી હતી. ખાસ કરીને વેપારીઓને ફાટક બંધ કરી દેવાતા ભારે અસર થતા વેપારીંઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
વેપારી આગેવાનોએ જણાવ્યું હતું કે અમો વિકાસના વિરોધી નથી, ઓવર બ્રીજ બનાવવો જોઇએ પરંતુ લોકો માટે વૈક્લ્પિક સુવિધા ઉભી કરવા વિના ફાટક બંધ કરી દેતા રેલવે દ્ધારા બેદરકારી દાખવી હોવાનું જણાવી રાહદારોઓને અવરજવર કરવા રસ્તો ખુલ્લો કરી આપવા માંગ કરી હતી. માંગણી નહી સ્વિકારાય તો આંદોલનની પણ ચિમકી આપી હતી.