સામાન્ય પ્રવાહના પરિણામનો ખોટો મેસેજ હિંમતનગરના સગીરે ફરતો કર્યો
ગાંધીનગર,તા. 23 મે 2020, શનિવાર
સોશ્યલ મીડીયા ઉપર ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે તેવો ખોટો મેેસેજ ફરતો થયો હતો. જેના પગલે લોકોમાં પણ ગેરસમજ પ્રસરી હતી. આ મામલો શિક્ષણ બોર્ડના ધ્યાને આવતાં સે-૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાના પગલે સે-૭ પોલીસ મથકના પીઆઈ જે.એચ.સિંઘવ અને તેમની ટીમે ટેકનોલોજીની મદદથી હિંમતનગરમાં રહેતા એક શખ્સને ઝડપી પાડયો હતો.
જેણે ધો.૧રની અખબારી યાદીમાં છેડછાડ કરીને સામાન્ય પ્રવાહના પરિણામ અંગે ખોટો મેસેજ ફરતો કર્યો હતો. સગીરે આ બનાવટી અખબારી યાદી સોશ્યલ મીડીયામાં ફરતી કરી હતી. મજાક ખાતર જ તેેણે આ કર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.