નવા વર્ષના 399 કામો માટે 8.09 કરોડ રૂપિયા મંજુર
- પ્રાયોરીટીના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરી દેવા અને ગુણવત્તા જાળવવા માટે મહેસુલ મંત્રીએ તંત્રને તાકીદ કરી
ગાંધીનગર, તા.16 જૂન 2020,મંગળવાર
ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક આજે પ્રભારી અને મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સથી યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે આયોજન મંડળના કામોમાં પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્યના કામોને પ્રાયોરીટીની સાથે સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા તેમજ સ્થળ મુલાકાત લઈને તેની ગુણવત્તા ચકાસવા માટે પણ અધિકારીઓ અને જન પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો. શાળાના ઓરડામાં જરૂરી ઈનફ્રાસ્ટ્રકચર અને ટેકનોલોજીની સુવિધા શિક્ષકો અને બાળકોને ઉપલબ્ધ કરાવા માટે પણ જણાવ્યું હતું.
આયોજન મંડળની આ બેઠકમાં વર્ષ ર020-ર1 માટે તાલુકા, નગરપાલીકા અને જિલ્લા કક્ષા તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 8.09 કરોડના 399 કામોનું આયોજન મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શિક્ષણ માટે 1.41 કરોડ, પેવર બ્લોક માટે 1.ર0 કરોડ, ગટરલાઈન માટે 1.8 કરોડ, ગ્રામ્ય રસ્તા માટે 1.39 કરોડ, પાણી પુરવઠા માટે 98 લાખ, વીજળીકરણ માટે 1પ લાખના કામો મંજુર કરાયા હતા. આ બેઠકમાં પ્રભારી સચિવ સંજીવકુમાર, જિલ્લા કલેકટર કુલદીપ આર્ય સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.