Gujarat

જિલ્લામાં વિદેશથી આવેલા 553 નાગરિકોને કવોરેન્ટાઈન કરાયા

By GS Team
3 Jun 20202 mins read
This article was originally published on 3 Jun 2020
જિલ્લામાં વિદેશથી આવેલા 553 નાગરિકોને કવોરેન્ટાઈન કરાયા

ગાંધીનગર,તા. 02 જૂન 2020,મંગળવાર

કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે વિદેશથી આવતાં નાગરિકોને કવોરેન્ટાઈન કરવામાં આવી રહયા છે ત્યારે જિલ્લામાં હાલની સ્થિતીએ પ૫૩ જેટલા નાગરિકોને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જેમાં ૧૪૭ નાગરિકોએ સરકારી અને ૪૦૬એ ફેેસેલીટી કવોરેન્ટાઈનની પસંદગી કરી હતી. અત્યાર સુધી ૧૪૪ નાગરિકોએ પોતાનો કવોરેન્ટાઈન સમય પણ પૂર્ણ કરી લીધો છે.

ભારતમાં વિદેશથી આવેલા નાગરિકો મારફતે જ કોરોનાના કેસો વધવાનું શરૂ થયું હતું. જેના પગલે સતત બે મહિના સુધી લોકડાઉનની સ્થિતિ રાખવી પડી હતી. હવે કોરોનાના સંકટ વચ્ચે પણ જનજીવન ધબકતું કરવાના સરકાર પ્રયત્ન કરી રહી છે અને વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવી રહયા છે. ગાંધીનગર જિલ્લામાંથી પણ વિવિધ કારણોસર વિદેશ ગયેલા નાગરિકો હવે પરત ફરી રહયા છે.

જો કે સરકારની ગાઈડલાઈન મુજબ તેમને સીધા ઘરે મોકલવાના બદલે એરપોર્ટથી જ કવોરેન્ટાઈન સેન્ટરમાં લઈ જવામાં આવે છે. જયાં આ નાગરિકોને બે પ્રકારના વિકલ્પ આપવામાં આવે છે. તેઓ પોતે ખર્ચ કરીને ખાનગી હોટલમાં રહી શકે છે અથવા તો સરકાર દ્વારા તેમના માટે ઉભા કરવામાં આવેલા ફેસેલીટી સેન્ટરમાં રહી શકે છે.

ગાંધીનગરમાં હાલની સ્થિતિએ પપ૩ વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. વિદેશથી આવેલા આ નાગરિકોએ ૧૪ દિવસ કવોરેન્ટાઈન પીરીયડમાં રહેવું પડશે. જે પૈકી ૧૪૭ સરકારી અને ૪૦૬ નાગરિકોએ ખાનગી ફેસેલીટીને પ્રાધાન્ય આપ્યું હતું તો અત્યાર સુધીમાં ૧૪૪ જેટલા વિદેશી નાગરિકોએ તેમનો કવોરેન્ટાઈન પીરીયડ પુરો કરતાં તેમને રજા આપવામાં આવી છે.