Gujarat

સુરેન્દ્રનગરમાં નજીવી બાબતે ઘાતક હથિયારો વડે હુમલો

By GS Team
25 Jan 20231 min read
This article was originally published on 25 Jan 2023
સુરેન્દ્રનગરમાં નજીવી બાબતે ઘાતક હથિયારો વડે હુમલો

- અપશબ્દ બોલવાની ના પાડતાં મામલો બિચક્યો

- ધારિયા, તલવારથી હુમલો કરાયો : કારના કાચ તોડી નાખ્યા : નવ શખ્સો સામે ફરિયાદ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ પાછળ શેરી નં-૪ પાસે તાપણું કરતી વખતે બબાલ થતાં નવ શખ્સોએ તલવાર, ધારિયું, છરી જેવા ઘાતક હથિયારથી હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. 

રતનપર મસ્જિદ પાસે રહેતા યાકુબખાન કાળુખાન પઠાણ તેમના ભાઈ ફિરોઝભાઈ તથા અન્ય લોકો સાથે સગાની ઈકો કાર લઈને રાતના સમયે સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ પાછળ શેરી નં-૪માં ગયા હતા. જ્યાં કેટલાક લોકો તાપણું કરતા હતા. તેથી યાકુબખાન અને તેમની સાથેના લોકો ત્યાં તાપણું કરવા બેઠા હતા. ત્યારે ઈમરાન ફતેહમહમદ નામનાં શખ્સે તેમને અપશબ્દો બોલતાં  યાકુબખાને લાફો મારી દેતાં મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલ ઈમરાન થોડી વારમાં માણસો લઈને આવ્યો હતો. બાઈક, કાર, બુલેટ જેવા વાહનોમાં ધારિયા, તલવાર, છરી જેવા હથિયારો લઈને આવેલા કલો ફતેહમહમદ, મહેબુબ ફતેહમહમદ, સિકંદર અબ્બાસ, ઈમરાન ફતેહમહમદ, અલારાખા સિકંદર સાહીબ અબ્બાસ, સદામ ઉર્ફે ભૈયા, બદુ સિકંદરભાઈ અને સુજાન અબ્બાસભાઈ નામના શખ્સોએ હુમલો કરીને યાકુબખાનને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મારામારીમાં ઈકો કારના કાચ તલવારના ઘા મારી તોડી નાંખ્યા હતા તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યાકુબખાને આ અંગે નવ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.