સુરેન્દ્રનગર: સાયલાના મદારગઢમાં ગેરકાયદે પથ્થરની ખાણ પર પોલીસનો દરોડો, ₹2 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar Illegal Mining Bust: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના મદારગઢ ગામની સીમમાં મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદે પથ્થરના ખોદકામ પર સુરેન્દ્રનગર પોલીસની ટીમે દરોડો પાડીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેના પગલે ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ખાણ-ખનીજ વિભાગને સોંપાઈ તપાસ
મળતી માહિતી અનુસાર, મદારગઢની સીમમાં કોઈ પણ મંજૂરી વિના ગેરકાયદે રીતે પથ્થરનું ખોદકામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર પોલીસની ટીમે આ કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ખોદકામ અને વહન માટે વપરાતા 3 હિટાચી મશીન અને 2 ડમ્પર 1 ડ્રિલિંગ મશીન, બોરિંગ ટ્રેકટર સહિત અંદાજે 2 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે.
આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી અને માપણીની પ્રક્રિયા માટે ખાણ-ખનીજ વિભાગની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. ગેરકાયદે ખોદકામની ચોક્કસ માપણી થયા બાદ તે મુજબ દંડાત્મક આકરી કાર્યવાહી કરવામાં આવશે.
આ ગેરકાયદે ખોદકામ કોના ઈશારે અને કોના દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું? આ અંગે ઝડપાયેલા વાહનોના માલિકો અને ડ્રાઈવરોના નિવેદનો નોંધીને મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પથ્થર તોડવા માટે ખાણમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પ્રતિબંધિત કે સંવેદનશીલ વિસ્ફોટકો ક્યાંથી અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યા, તેની પણ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.









