સુરેન્દ્રનગર એ. ડિવિઝન પોલીસ મથકના નિવૃત પીએસઆઈનું કોરોનાથી મોત
- ઝાલાવડમાં કિલર કોરોનાએ વધુ 1નો ભોગ લીધો
- નિવૃત પોલીસ કર્મચારીને ૨૦ દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
સુરેન્દ્રનગર, તા. 19 જુલાઇ 2020, રવિવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરી વિસ્તારમાં કોરોના વાયરસના સતત પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં અંદાજે ૪૫૦થી વધુ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યાં છે ત્યારે શહેરનાં એ ડિવીઝન પોલીસ મથકના નિવૃત્ત પીએસઆઈનું કોરોનાથી રાજકોટ ખાતે મોત નીપજતાં સમગ્ર પંથક સહિત પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને શહેરી સહિત જિલ્લાના અલગ-અલગ તાલુકામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોના વાયરસના પગલે અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં જિલ્લામાં ૮ લોકોના કોરોના પોઝીટીવથી મોત થઈ ચુક્યાં છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનાં એ ડિવીઝન પોલીસ મથકનાં નિવૃત્ત પીએસઆઈ અને નિવૃત્તિ બાદ કોરોના મહામારી દરમ્યાન જોરાવરનગર પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલ સી.એચ.શુક્લને અંદાજે ૨૦ દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમ્યાન રાજકોટ હોસ્પીટલ ખાતે કોરોનાથી મોત નીપજતાં સમગ્ર પંથક સહીત પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને જિલ્લામાં દરરોજ સરેરાશ ૩૦થી વધુ પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે શહેરનાં નિવૃત્ત પીએસઆઈનું કોરોનાથી મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.