Get The App

સુરેન્દ્રનગર સહિત જિલ્લાના તાલુકાઓમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી

- સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારો અને તાલુકાઓમાં વાતાવરણ બદલાયા પછી સામાન્યથી માંડી ધોધમાર વરસાદ

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર સહિત જિલ્લાના તાલુકાઓમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી 1 - image


સુરેન્દ્રનગર, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સતત બીજે દિવસે પણ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારેથી લઈ જોરદાર વરસાદ પડયો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં જાણે મેઘરાજા મહેરબાન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થોડા દિવસોના વિરામ બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ધીમીધારેથી લઈ અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે સતત બીજે દિવસે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જોરાવરનગર, રતનપર અને વઢવાણ તેમજ જિલ્લાના લીંબડી, ચુડા, સાયલા, લખતર, ધ્રાંગધ્રા, પાટડી, મુળી સહિતના તાલુકાઓમાં પણ ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ પડયો હતો. જ્યારે સાર્વત્રિક વરસાદથી ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અને એકંદરે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. 

જ્યારે શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે શહેરના મુખ્યમાર્ગો સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં લોકો સહિત વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને તંત્રની પ્રીમોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

Tags :