કોરોના વાઇરસ મામલે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી
- આજે તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરમાં હોમિયોપેથિક દવાઓનું વિતરણ
સુરેન્દ્રનગર, તા.1 જુલાઈ 2020, બુધવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિડીયો કોર્ન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓને જરૃરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને ધ્યાને લઈ જિલ્લા કલેકટર કે.રાજેશના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડાના અધ્યક્ષસ્થાને જિલ્લાની સ્વૈચ્છિક સેવાભાવિ સંસ્થાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણીકુમાર દ્વારા શહેરી વિસ્તારમાં વધતાં કોરોના વાયરસના કેસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા વહિવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓના સહકારથી જુદા જુદા પ્રયત્નો દ્વારા જનજાગૃતિ અંગેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં સમગ્ર કામગીરી કરવા દરેક સંસ્થાએ પણ સહમતી દર્શાવી હતી.
જ્યારે આરોગ્ય તંત્ર અને સંસ્થા દ્વારા આજે તા.૦૨ જુલાઈને ગુરૃવારથી જિલ્લા વહિવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરના ટાવર રોડ, મહેતા માર્કેટ, જવાહર ચોક, ટાંકીચોક, માઈ મંદિર રોડ, વિઠ્ઠલપ્રેસ રોડ, સી.જે.હોસ્પીટલ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં કોરોના વાયરસ અંગે જનજાગૃતિ તથા માસ્ક અને હોમીયોપેથીક દવાનું વિતરણ શરૃ કરવામાં આવશે.