લખતરમાં શાળા પાસે ઝુલતા વીજ વાયરોથી અકસ્માતનો ભય
- વિદ્યાર્થીઓને જીવનું જોખમ
- ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલા મરામત કામ કરાવી લેવા ગ્રામજનોની માંગણી
સુરેન્દ્રનગર : લખતરમાં શાળાની પાછળ લબડી રહેલા વિજ વાયરોને કારણે વિદ્યાર્થીઓ-રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે આ વાયરો હટાવવાની રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.
આ અંગેની વધુ વિગત એવી છે કે, લખતર શહેરની સહયોગ વિદ્યાલય પાછળના રહેણાંક વિસ્તાર પાસેથી પસાર થતી વીજલાઈનોના વાયર અને જમીન નું અંતર દસથી પંદર ફુટ જેટલુ અંતર હોવાથી ગમે ત્યારે વાયર નીચે પડે તો મોટી જાનહાની થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે,
ત્યારે સ્થાનીક વિસ્તારના રહીશો દ્વારા તંત્રને અનેક વખત રજુઆતો કરવા છતા ઘોર નિદ્રા માણી રહેલ તંત્ર દ્વારા અરજદારોની રજુઆતોને ધ્યાને લેવામાં ન આવતી હોવાનું જાણવા મળે છે.
ત્યારે તંત્ર દ્વારા આળસ ખંખેરીને વહેલી તકે નીચે લબડતા વાયરોને ઉપર લેવાની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનીક લોકોની માંગ ઉઠવા પામી છે.