વિરમગામના જેતાપુર ગામે બે બોર હોવા છતાં લોકોને પાણી માટે વલખાં
- તાલુકા ભાજપ મહામંત્રીના ગામમાં પાણીની મોકાણ
- 6 માસથી બોર બનાવ્યો પણ વીજજોડાણ અને પાઈપલાઈન ન નાંખતા છતા પાણીએ લોકો તરસ્યા
અમદાવાદ, તા. 30 જુલાઈ 2020, ગુરુવાર
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠાના જેતાપુર ગામમાં ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. આશરે ૫૦૦૦ વસ્તી ધરાવતું જેતાપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીના બે બોરવેલ બનાવવામાં આવ્યા છે પરંતુ તેનું વીજ કનેકશન અને પાણીની લાઇન ન નખાતા છેલ્લા છ મહિનાથી પીવાના પાણી માટે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
જેતાપુર ગામની એક કિલોમીટર દૂર નર્મદાના પીવાના પાણીની લાઇન પહોંચાડવામાં આવી છે પરંતુ જેતાપુર ગામ સુધી લાઇન ન લંબાવતા ગ્રામજનોને એક કિલોમીટર દૂર પાણી ભરવા જેવું પડે છે.
બીજી બાજુ જેતાપુર ગ્રામ પંચાયતમાં પાણીનો જુનો બોર ટાંકીમાંથી પીવાનું શુદ્ધ પાણી ના મળતા પાણીની ટાંકીની આજુબાજુ ગંદકીના ગંજ જામ્યા છે. ૫૦૦૦ વસ્તી ધરાવતું જેતાપુર ગામમાં આ વર્ષથી હજી અપૂરતા વરસાદને લઇને સમસ્યા વધુ સર્જાઇ છે તો બીજી બાજુ જેતપુર ગામમાં ગૌચર જગ્યા પણ ફાળવવા ગ્રામજનો માગણી કરી રહ્યા છે.
નળકાંઠાના જેતાપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ભૂગર્ભ ગટર લાઇન ન નખાતા જાહેર માર્ગો પર દૂષિત પાણી ફરી વળ્યા છે. બીજી બાજુ ગલી મહોલ્લામાં પેવર બ્લોકના કામ પણ અધૂરા જોવા મળ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને અનેકવિધ ગ્રાન્ટો લોકોની સુખાકારી માટે આપવામાં આવતી હોય છે પરંતુ ગ્રામ પંચાયતના અણઘડ વહીવટ અને અવ્યવસ્થાને લઇને સ્થાનિક ગ્રામજનો સમસ્યાઓ ભોગવી રહ્યા છે.