બાવળા પાલિકા વિસ્તારમાં રખડતી ગાયો અને આખલાઓની ભારે રંજાડ
- આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને બજરંગ દળની ચીફ ઓફિસરને રજૂઆત
બગોદરા, તા. 13 જુન 2020, શનિવાર
બાવળા નગરપાલિકા વિસ્તારમાં દિન-પ્રતિદિન રખડતી ગાયો અને આખલાના ત્રાસ વધી રહ્યાં છે જેના કારણે વાહનચાલકો સહિત લોકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે આ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પાલિકાના ચીફ ઓફીસરને લેખીત રજુઆત કરવામાં આવી હતી.
આ અંગ રજુઆતમાં જણાવ્યા મુજબ બાવળા નગરપાલિકા વિસ્તારમાં આવેલ જાહેર માર્ગો સહિત મુખ્યમાર્ગો પર દિન-પ્રતિદિન રખડતી ગાયો તેમજ આખલાનો ત્રાસ વધી રહ્યો છે જેના કારણે અવાર-નવાર અકસ્માતોના બનાવો પણ વધી રહ્યાં છે. પાલિકા તંત્ર દ્વારા ગત વર્ષે ચોમાસા દરમ્યાન ગાયો પકડવાના ટેન્ડરો બહાર પાડવાનું મામલતદારે જણાવ્યું હતું પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનું જણાઈ આવે છે.
જ્યારે બાવળા ખાતે પાંજરાપોળ સહિત ધાર્મિક સંસ્થાઓ હોવા છતાં જાહેર માર્ગો પર ગાયો તેમજ આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ જાહેર માર્ગો પર ગંદકી અને કચરો ઉપાડવામાં ન આવતાં અનેક ગાયો કચરાપેટીમાંથી કચરો ખાય છે. તેમજ મેડીકલ વેસ્ટ પણ ખાતી હોવાના ફોટાઓ અગાઉ સોશયલ મીડીયામાં વાયરલ થયાં હોવા છતાં કોઈ જ પગલાંઓ લેવામાં આવ્યાં નથી આથી તાત્કાલીક રખડતાં ઢોરોને ઝડપી પાડવામાં આવે તેવી અમદાવાદ કર્ણાવતી ગ્રામ્ય રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ અતુલકુમાર ઠાકોર દ્વારા ચીફ ઓફીસરને લેખીત રજુઆત કરી હતી.