ધ્રાંગધ્રા, તા. 19 જુલાઇ 2020, રવિવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માત તેમજ હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક નાસી છુટવામાં સફળ રહ્યો હતો.
ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતો યુવક દર્શન નારાયણભાઈ પ્રજાપતિ ઉ.વ.અં.૨૦વાળો બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમ્યાન અજાણ્યા વાહનચાલકે પોતાના હવાલાવાળું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈકને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક નાસી છુટયો હતો જ્યારે લોકમુખે થતી ચર્ચા મુજબ એસટી બસના ડ્રાઈવરે અડફેટે લીધો હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી.
જ્યારે યુવકના મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.


