શુભમન ગિલ કેપ્ટન બન્યો તેનો શ્રેય યુવરાજ સિંહને જાય છે...: યોગરાજ સિંહનું મોટું નિવેદન
Yograj Singh on Shubman Gill as Test Captain: તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સીરિઝની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે રિષભ પંતને વાઈસ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી શુભમન ગિલ નવા ટેસ્ટ કેપ્ટન બનવાની ચર્ચા ચાલી રહી હતી. આખરે BCCI એ તેને મંજૂરી આપી અને આ ખેલાડીને કેપ્ટનશીપની જવાબદારી સોંપી. એવામાં ગિલના કેપ્ટન બન્યા પછી, યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે પણ પ્રતિક્રિયા આપી છે.
ગિલ કેપ્ટન બન્યો તેનો શ્રેય યુવરાજ સિંહને જાય છે: યોગરાજ સિંહ
યોગરાજ સિંહે કહ્યું કે, 'ગિલ આજે કેપ્ટન બની ગયો છે પરંતુ આનો સંપૂર્ણ શ્રેય તેના પિતા અને યુવરાજ સિંહને જવો જોઈએ, યુવીએ ગિલ પર ખૂબ મહેનત કરી છે અને તેનું ફળ આજે તેને મળ્યું છે.'
નોંધનીય છે કે શુભમન ગિલ બાળપણથી જ તેના પિતાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યો છે. તે દરમિયાન તેને ભારતના આગામી સુપરસ્ટાર બેટર કહેવામાં આવતો હતો. યુવરાજે 2020 માં લોકડાઉન દરમિયાન શુભમન ગિલને ટ્રેનિંગ આપી હતી. તે દરમિયાન પંજાબના કેટલાક અન્ય ક્રિકેટરો પણ તેની સાથે હતા.
25 વર્ષની ઉંમરે, ગિલ ભારતનો પાંચમો સૌથી યુવા ટેસ્ટ કેપ્ટન બન્યો
જણાવી દઈએ કે કોહલી અને રોહિતની નિવૃત્તિ પછી, ગિલ પર હવે કેપ્ટન તરીકે મોટી જવાબદારી છે. આવતા મહિને, ભારતે ઇંગ્લેન્ડના પ્રવાસ પર 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. પહેલી ટેસ્ટ સીરિઝ 20 જૂને રમાશે. ગિલ માટે કેપ્ટન તરીકે આ એક મોટી સીરિઝ બનવાની છે.
આ સાથે જ 25 વર્ષની ઉંમરે, ગિલ ભારતનો પાંચમો સૌથી યુવા ટેસ્ટ કેપ્ટન બન્યો. આ પહેલા મન્સૂર અલી ખાન પટૌડી (21), સચિન તેંડુલકર (23), કપિલ દેવ (24) અને રવિ શાસ્ત્રી (25) એ તેમના કરતા નાની ઉંમરે દેશની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું છે.