હવે ટીમ ઇન્ડિયાના ધૂરંધર ખેલાડીને કૅપ્ટન બનવાની ઇચ્છા જાગી, કહ્યું - 'એક દિવસ હું પણ...'
Yashasvi Jaiswal Aspires To Become Team India Captain: ટીમ ઇન્ડિયાના ધૂરંધર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે કૅપ્ટન બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, 'એક દિવસ હું પણ કૅપ્ટન બનવા માગું છું.' આ જ કારણ છે કે, તે દરરોજ પોતાની ફિટનેસ અને સ્કિલ પર વિચાર કરે છે અને તેના પર કામ કરે છે. હાલ માટે ટીમ ઇન્ડિયા ટ્રાન્જિશનના ફેઝમાં છે. લગભગ તેની જ ઉંમરનો શુભમન ગિલ ટેસ્ટ તથા વન-ડે કૅપ્ટન છે અને T20 ટીમનો વાઇસ કૅપ્ટન છે. જ્યાં 2026 T20 વર્લ્ડ કપ પછી તેને ત્રણેય ફોર્મેટના કૅપ્ટન બનાવવામાં આવી શકે છે.
હું કૅપ્ટન બનવા માગું છું
કૅપ્ટનશીપ અંગે ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલે એક પોડકાસ્ટમાં કહ્યું કે, 'હું દરરોજ મારી ફિટનેસ અને મારી સ્કિલ પર કામ કરી રહ્યો છું. હું મારા બોડી વિશે શીખી રહ્યો છું, કારણ કે ધીમે-ધીમે મને લાગે છે કે મારે ફિટ થવાનું છે અને વધુ મહેનત કરવાની છે તથા મારી સ્કિલને નિખારવાની જરૂર છે. અત્યારે હું દરરોજ મારા પર કામ કરી રહ્યો છું. હું એક લીડર કેવી રીતે બની શકું તે માટે મારી જાત પર કામ કરી રહ્યો છું. હું કૅપ્ટન બનવા માગું છું. હું એક ટીમની કૅપ્ટનશીપ કરવા માગું છું.'
આ પણ વાંચો: ક્રિકેટમાં અનોખો રેકોર્ડ, પાકિસ્તાનની મહિલા ખેલાડીએ પહેલીવાર ભારત સામે ફટકાર્યો છગ્ગો
યશસ્વી જયસ્વાલ ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કરી ચૂક્યો છે
23 વર્ષીય યશસ્વી જયસ્વાલ ટીમ ઇન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કરી ચૂક્યો છે. તેણે અત્યાર સુધીમાં 25 ટેસ્ટ, એક વન-ડે અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 2200થી વધુ રન પણ બનાવ્યા છે. ઓપનર તરીકે તેનું સ્થાન લાંબા સમય સુધી નિશ્ચિત છે, પરંતુ હાલમાં તે વન-ડે અને T20 ટીમોમાં સ્થાન નથી મેળવી શક્યો. જો તેને સ્થાન મળે તો પણ તે ફક્ત બેકઅપ ઓપનર તરીકે ટીમમાં રહેશે, કારણ કે શુભમન ગિલ અને રોહિત શર્મા હાલમાં ઓપનર છે. રોહિત શર્માની નિવૃત્તિ પછી યશસ્વીને તકો મળવાની શરુ થઈ જશે.