સૌરવ ગાંગુલીને ટીમ ઈન્ડિયાના કોચ બનવાની ઈચ્છા, રાજકારણમાં એન્ટ્રીની અટકળો પર પણ આપ્યો જવાબ
Sourav Ganguly On Team India Coach: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સ્પષ્ટપણે રાજકારણમાં જવાનો ઈનકાર કર્યો છે. પરંતુ તેણે ક્રિકેટ ટીમનો કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 2018-19થી 2022-24 દરમિયાન ગાંગુલી આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સનો ટીમ ડિરેક્ટર હતો.
એક મીડિયા ઈન્ટરવ્યૂમાં ટીમ ઈન્ડિયાને કોચિંગ પુરૂ પાડવાના સવાલ પર ગાંગુલીએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય વિચાર્યુ ન હતું કે, હું જુદી-જુદી ભૂમિકાઓમાં વ્યસ્ત રહીશ. મેં 2013માં ક્રિકેટ રમવાનું બંધ કર્યુ હતું અને બાદમાં બીસીસીઆઈનો અધ્યક્ષ બન્યો હતો. આગળ શું થાય છે, તે જોવાનું રહેશે. હાલ હું 53 વર્ષનો છું. જોઈએ આગળ શું થાય છે. હું કોચ બનવા માટે તૈયાર છું.
રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા નહીં
ગાંગુલીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા નથી. ગાંગુલીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, 2026માં પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પક્ષમાં સામેલ થશો? તેનો જવાબ આપતાં ગાંગુલીએ કહ્યું કે, મને તેમાં રૂચિ નથી. જો મુખ્યમંત્રી બનાવવામાં આવે તો પણ મને રાજકારણમાં જવાની કોઈ ઈચ્છા નથી.
આ પણ વાંચોઃ સદી ફટકારી પણ ફિલ્ડિંગમાં બાફ્યું, સુનીલ ગાવસ્કર ભડક્યો ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર
ગંભીર માટે આપ્યું આ નિવેદન
ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીરના ભરપૂર વખાણ કર્યા હતાં. તેણે કહ્યું કે, ગંભીરે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ કોચ તરીકે ખૂબ સારૂ પર્ફોર્મન્સ આપ્યું છે. ગૌતમ સારૂ કામ કરી રહ્યો છે. શરૂઆત થોડી ધીમી રહી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફરી લયમાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ ટૂર્નામેન્ટ પણ અત્યંત મહત્ત્વની છે. મેં ગંભીરને આ ભૂમિકામાં ખૂબ નજીકથી જોયો નથી. પરંતુ તેનામાં જુસ્સો જોવા મળ્યો છે. તે ખૂબ સીધો અને સ્પષ્ટ વક્તા છે. તે જે અનુભવે છે તેના વિશે ખુલીને વાત કરે છે. તે પારદર્શી વ્યક્તિ છે.
વધુમાં ગાંગુલીએ પોતાના રમતના દિવસોને યાદ કરતાં કહ્યું કે, ગંભીર વરિષ્ઠ ખેલાડીઓને અત્યંત સન્માન આપતો હતો. હું તેની સાથે રમ્યો છું. તે ખૂબ સારો માણસ છે. આજે પણ તેનામાં કામ પ્રત્યે તેવો જ જુસ્સો જોવા મળે છે.