સદી ફટકારી પણ ફિલ્ડિંગમાં બાફ્યું, સુનીલ ગાવસ્કર ભડક્યો ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર
IND Vs ENG Test Match: ઈંગ્લેન્ડમાં શરૂ થયેલી ટેસ્ટ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસે બાજી પોતાના હાથમાં રાખી હતી. ચાહકોને અપેક્ષા હતી કે, બીજા દિવસે પણ ટીમ ઈન્ડિયા ધુઆંધાર પર્ફોર્મન્સ આપશે. જો કે, બેટિંગમાં શુભમન ગિલ અને ઋષભ પંતની વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયા કોઈ ખાસ કમાલ કરી શકી નહીં. જસપ્રીત બુમરાહ સિવાય તમામ બોલર્સે નિરાશ કર્યા હતાં. ફિલ્ડિંગમાં કચાશના કારણે ટીમ ઈન્ડિયાનું બીજા દિવસે ખરાબ પર્ફોર્મન્સ રહ્યું હતું. ટીમ ઈન્ડિયાના ખરાબ પર્ફોર્મન્સ પર પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર સુનિલ ગવાસ્કરે નારાજગી વ્યક્ત કરી છે.
ઓપનર યશસ્વી જયસ્વાલ , કેપ્ટન શુભમન ગિલ અને વાઈસ કેપ્ટન ઋષભ પંતે સદી ફટકારતાં સૌ કોઈને અપેક્ષા હતી કે, ટીમ 500નો આંકડો ક્રોસ કરશે, પરંતુ અંતિમ 41 રનમાં જ સાત વિકેટ ગુમાવી ટીમ ઈન્ડિયા 471 રનમાં સમેટાઈ હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમે 3 વિકેટ ગુમાવી 209 રન બનાવ્યા હતાં. આ ત્રણેય વિકેટ બુમરાહે લીધી હતી. ભારતીય ખેલાડીઓએ ફિલ્ડિંગમાં કોઈ ખાસ દેખાવ કર્યો ન હતો. ઈંગ્લેન્ડના ઘણા કેચ છોડ્યા હતાં. તેમજ બુમરાહનો એક નો બોલ પણ ટીમ ઈન્ડિયા પર ભારે પડ્યો હતો.
સુનીલ ગાવસ્કરે ગુસ્સો ઠાલવ્યો
લીડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયાના ખરાબ દેખાવ પ્રત્યે નિરાશા વ્યક્ત કરતાં સુનીલ ગાવસ્કરે બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરતાં કહ્યું કે, મને નથી લાગતું કે (બેસ્ટ ફિલ્ડિંગ માટે) કોઈ મેડલ આપવામાં આવશે. આ અત્યંત નિરાશાજનક હતું. યશસ્વી જયસ્વાલ ઘણો સારો ફિલ્ડર છે, પરંતુ આ વખતે તેણે કોઈ કમાલ બતાવી નથી. જો જયસ્વાલે તે કેચ ઝડપી લીધો હોત તો ઓલી પોપએ સદી ફટકારી ન હોત. જસપ્રિત બુમરાહે છેલ્લી ઓવરમાં હેરી બ્રૂકને આઉટ કર્યો હતો. પરંતુ તે નો બોલ રહ્યો હતો.