'મારા દીકરાને ઇગ્નોર કરવામાં આવે છે', સિલેક્ટર્સ પર ભડક્યાં વોશિંગ્ટન સુંદરના પિતા
Washington Sundar News: વોશિંગ્ટન સુંદરે માન્ચેસ્ટર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને સદી ફટકારી અને ભારતને ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ ડ્રો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે. તેણે રવીન્દ્ર જાડેજા સાથે મળીને બેવડી સદી ફટકારી અને 206 બોલમાં 101 રન બનાવીને અણનમ પરત ફર્યા. આ પ્રદર્શન પછી પણ સિલેક્ટર્સ પર વોશિંગ્ટન સુંદરના પિતા એમ. સુંદર ભડક્યાં હતા અને કહ્યું કે, 'મારા દીકરાને ઇગ્નોર કરવામાં આવે છે.'
2021માં ડેબ્યૂ કર્યુ હતું
વોશિંગ્ટન સુંદરે જાન્યુઆરી 2021માં ઓસ્ટ્રેલિયા સામે ગાબા ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતું, જે દરમિયાન ભારતે એક ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. જોકે, અત્યાર સુધીમાં તેણે માત્ર 12 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી મોટાભાગની મેચ ગત 12 મહિનામાં રમાઈ હતી.
માન્ચેસ્ટર ટેસ્ટની બીજી ઇનિંગમાં રિષભ પંત ઈજાગ્રસ્ત થતાં વોશિંગ્ટન સુંદરને 5માં નંબરે બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં તેણે શાનદાર રીતે પ્રદર્શન કર્યુ હતું. વોશિંગ્ટનના આ પ્રદર્શન બાદ તેના પિતાએ કહ્યું કે, 'સુંદરને સતત પાંચથી દસ મેચ સુધી રમવાની તક આપવામાં આવે.'
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચ થવી જોઈએ કે નહીં? પૂર્વ ખેલાડીઓમાં પણ મતભેદ, જુઓ કોણે શું કહ્યું
વોશિંગ્ટન સુંદરના પિતાએ શું કહ્યું?
વોશિંગ્ટન સુંદરના પિતા એમ. સુંદરે કહ્યું, 'વોશિંગ્ટન સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, છતાં પણ તેની અવગણના કરવામાં આવે છે. અન્ય ખેલાડીઓને સતત તકો મળે છે પણ મારા પુત્રને નહીં. તેણે 2021માં ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે ટર્નિંગ પિચ પર અણનમ 85 રન બનાવ્યા હતા અને અમદાવાદમાં પણ 96* રન બનાવ્યા હતા. જો તેણે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હોત, તો પણ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હોત. શું અન્ય કોઈ ભારતીય ખેલાડી સાથે આવો વ્યવહાર થયો છે? હવે વોશિંગ્ટન માનસિક રીતે વધુ મજબૂત બની ગયો છે અને તેનું પરિણામ આજે લોકો જોઈ રહ્યા છે.'