શ્રેયસ અય્યર આટલું સારું તો રમે છે, ટેસ્ટ ટીમમાં કેમ સામેલ ન થઈ શકે?, સેહવાગે BCCIનો કર્યો વિરોધ
India tour of England 2025 Squad: ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન થઈ ગયું છે. શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને કરુણ નાયરની 8 વર્ષ બાદ વાપસી થઈ છે. સાઈ સુદર્શન અને અનેક યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, શ્રેયસ અય્યરને ટેસ્ટ ટીમમાં સ્થાન નથી મળ્યું, જ્યારે તેનું પ્રદર્શન સારું રહ્યું છે. BCCIના આ નિર્ણયથી અનેક ચાહકો નારાજ છે અને અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન સમિતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે વીરેન્દ્ર સેહવાગે પણ BCCIનો વિરોધ કરતા સવાલ ઉઠાવ્યા છે.
અય્યર ટેસ્ટ ટીમમાં કેમ સામેલ ન થઈ શકે?
ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી શ્રેયસ અય્યરને સામેલ ન કરવા પર ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે BCCI પર સવાલ ઉઠાવ્યા છે. તેણે ટેસ્ટ ટીમમાં અય્યરને સામેલ ન કરવા પર ચર્ચા દરમિયાન કહ્યું કે, 'નિશ્ચિતરૂપે તેને તેની કેપ્ટનસીપ માટે વધુ શ્રેય નથી મળતો.' મનોજ (તિવારી) એ કહ્યું કે, 'રિષભ પંતને કેપ્ટનસીપ એટલા માટે ન મળી કારણ કે, તેની IPL સીઝન સારી રહી. પરંતુ અય્યરની સીઝન શાનદાર રહી છે, તે કેપ્ટન પણ છે. તે ટેસ્ટ ક્રિકેટ કેમ ન રમી શકે? તે ચોક્કસપણે ત્રણેય ફોર્મેટ રમી શકે છે.'
શ્રેયસ અય્યર IPL સીઝન 18માં સૌથી વધુ ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેનોમાંથી એક રહ્યો છે. તેણે આ સીઝનમાં રમાયેલી 13 મેચમાં 488 રન બનાવ્યા છે. 2014 પછી આ પહેલી વાર છે જ્યારે પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચ્યું છે, તે પણ તેની કેપ્ટનસીપમાં. સેહવાગ ઈચ્છે છે કે, અય્યરને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવો જોઈએ.
આ પણ વાંચો: ટેસ્ટ સીરિઝમાં ભારત માટે ખતરો બનશે ઈંગ્લેન્ડના આ 3 ખેલાડી, એકને તો 150 મેચ રમવાનો અનુભવ
અય્યરને ટેસ્ટ ટીમમાં સામેલ કરવો જોઈએ
સેહવાગે કહ્યું કે, 'જ્યારે તમે સારા ફોર્મમાં હોવ છો, ત્યારે તેને પ્રવાસ પર લઈ જવાનું સારું છે, કારણ કે તેમના સારા પ્રદર્શનની શક્યતા વધુ હોય છે. હું ઈચ્છું છું કે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવે. જો તે ટેસ્ટ ક્રિકેટમાં પણ આ જ વલણ અપનાવે તો તેનો ફાયદો ટીમને થશે. જો તમારી પાસે આવા 2-3 ખેલાડીઓ હોય તો તે વિરોધી ટીમમાં ડર પેદા કરે છે. ઈંગ્લેન્ડ 6-7 રન/ઓવરની ગતિએ રમે છે. જો ભારતીય ટીમ 4-5 રન/ઓવરની ગતિએ પણ રમે છે, તો તેઓ તેના પર દબાણ બનાવી શકે છે.'
શ્રેયસ અય્યરનો ટેસ્ટ રેકોર્ડ
ટેસ્ટમાં અય્યરે 2021માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ફેબ્રુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામે પોતાની છેલ્લી ટેસ્ટ રમી હતી. આ દરમિયાન તેણે કુલ 14 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 36.86ની એવરેજથી 811 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર/વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.