બેંગ્લુરુમાં નાસભાગનું ઠીકરું RCB પર ફોડાયું, મંજૂરી જ નહોતી આપી, કોહલીને પણ જવાબદાર ઠેરવ્યો
RCB Stampede Case Update: બેંગ્લુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતની ઉજવણી દરમિયાન થયેલી નાસભાગના કેસમાં કર્ણાટક સરકારે હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સમગ્ર ઘટના માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જેમાં અનેક પ્રકારની ગંભીર બેદરકારી થઈ હોવાનો પણ ઉલ્લેખ છે.
આઇપીએલ 2025માં આરસીબીની જીતની ઉજવણી કરવા બેંગ્લુરુમાં 4 જૂનના રોજ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાસભાગ મચતાં 11 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાના રિપોર્ટમાં કર્ણાટક સરકારે દર્શાવ્યું છે કે, વિરાટ કોહલીએ વીડિયોમાં પોતાના ચાહકોને ફ્રીમાં વિક્ટરી પરેડમાં જોડાવા અપીલ કરી હતી. જેના લીધે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. નાસભાગ માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે આરસીબીને જવાબદાર ઠેરવી હતી. આરસીબીએ પોલીસની મંજૂરી વિના જ સોશિયલ મીડિયા પર અચાનક વિક્ટરી પરેડની જાહેરાત કરી દીધી હતી. જેથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.
સરકારે રજૂ કર્યો રિપોર્ટ
કર્ણાટક સરકાર દ્વારા બેંગ્લુરુમાં થયેલી નાસભાગ મુદ્દે રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં અનેક ગંભીર બેદરકારી અને ગેરવહીવટ થયો હોવાનું જણાવ્યું છે. મંજૂરી વિના જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજક DNA Networks Pvt. Ltd એ 3 જૂનના રોજ પોલીસને આ કાર્યક્રમની માત્ર સૂચના આપી હતી. પરંતુ 2009ના આદેશ અનુસાર તેમણે અનિવાર્ય કોઈ મંજૂરી લીધી ન હતી. જેથી પોલીસે તેમને મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો હતો.
આ પણ વાંચોઃ 20 વિશ્વકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, આન્દ્રે રસેલ લેશે સંન્યાસ
મંજૂરી ન હોવા છતાં આરસીબીએ કર્યો પ્રચાર
બેંગ્લુરુ પોલીસે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખતાં વિક્ટરી પરેડને મંજૂરી આપી ન હતી, તેમ છતાં આરસીબીએ સોશિયલ મીડિયા પર ચાર જૂનના રોજ જાહેરમાં ઇવેન્ટનો પ્રચાર કર્યો. વિરાટ કોહલીએ પોતાના ચાહકોને મફતમાં વિક્ટરી પરેડમાં જોડાવા અપીલ કરી હતી.
ત્રણ લાખથી વધુ ભીડ ઉમટી પડી
બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીના સન્માન સમારોહમાં પણ મફત એન્ટ્રીના કારણે ત્રણ લાખથી વધુ સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. જેનાથી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ હતી. કાર્યક્રમ શરુ થાય તે પહેલાં જ બપોરે 3.14 વાગ્યે આયોજકે અચાનક જાહેરાત કરી હતી કે, સ્ટેડિયમમાં એન્ટ્રી માટે પાસ જરુરી રહેશે. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આરસીબી, ડીએનએ, અને કેએસસીએ (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિએશન) વચ્ચે સમન્વયની ઉણપ જોવા મળી હતી. એન્ટ્રી ગેટ શરુ કરવામાં વિલંબ અને અવ્યવસ્થાના કારણે નાસભાગ મચી હતી. જેમાં સાત પોલીસ કર્મી ઘવાયા હતા.
પરિસ્થિતિ વણસે નહીં એટલે સીમિત કાર્યક્રમ કરવા આપી મંજૂરી
આટલી મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતાં અને નાસભાગની દુર્ઘટના બાદ પરિસ્થિતિ વણસે નહીં, તેથી પોલીસે નાનો અને સીમિત કાર્યક્રમ કરવાની મંજૂરી આપી હતી. ઘટના બાદ મેજિસ્ટ્રેટ અને ન્યાયિક તપાસ શરુ થઈ હતી. એફઆઇઆર પણ નોંધવામાં આવી હતી. અમુક પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીના રાજકીય સચિવને સસ્પેન્ડ કર્યા હતાં. ઇન્ટેલિજન્સ ચીફની બદલી તેમજ ઘાયલોને વળતર આપવાની જાહેરાત થઈ હતી.