Get The App

વિરાટ કોહલીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! જાણો કઈ સીરિઝથી મેદાન પર ગર્જના કરશે 'કિંગ કોહલી'

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
વિરાટ કોહલીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! જાણો કઈ સીરિઝથી મેદાન પર ગર્જના કરશે 'કિંગ કોહલી' 1 - image

Virat Kohli Comeback After Injury: ભારતનો બેટ્સમેન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 85 સદી ફટકારી ચૂક્યો છે અને તે સચિન તેંડુલકરના 100 આંતરરાષ્ટ્રીય સદીના વર્લ્ડ રેકોર્ડને તોડવાથી માત્ર 16 સદી દૂર છે. વિરાટ કોહલી જ્યારે પણ મેદાન પર બેટિંગ કરવા ઉતરે છે, ત્યારે અનેક મોટા રેકોર્ડ્સ બને છે અને તૂટે છે. જોકે, IPL 2026 પછી હેમસ્ટ્રિંગની ઈજાના કારણે વિરાટ કોહલી ક્રિકેટના મેદાનથી દૂર ચાલી રહ્યો છે.

હેમસ્ટ્રિંગની ઈજામાંથી ઝડપથી રિકવર થઈ રહ્યો છે કિંગ કોહલી

85 સદી ફટકારનાર વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર ક્યારે વાપસી કરશે, તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ, વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજામાંથી ઘણી હદ સુધી ઉભરી ચૂક્યો છે અને ઇંગ્લેન્ડ સામે રમાનારી આગામી વનડે સીરિઝ માટે ભારતીય ટીમમાં વાપસી કરવાની તૈયારીમાં છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, "કોહલીએ પોતાનું રિહેબિલિટેશન શરૂ કરી દીધું છે અને તેની ઈજા ઝડપથી ઠીક થઈ રહી છે. આશા છે કે તે ટૂંક સમયમાં જ પોતાની ફિટનેસ ટેસ્ટ અને મંજૂરી માટે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિપોર્ટ કરશે."

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે આ અઠવાડિયે જ થશે ભારતીય ટીમની જાહેરાત

સૂત્રએ વધુમાં ઉમેર્યું કે, "જો તેની રિકવરી પ્લાન મુજબ થશે, તો વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સીરિઝમાં ટીમમાં વાપસી કરે તેવી પૂરેપૂરી સંભાવના છે." ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમની પસંદગી આ અઠવાડિયાના અંતમાં કરવામાં આવશે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે, "ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે ટીમ પસંદ કરવા માટે પસંદગી સમિતિની બેઠક આગામી 3થી 4 દિવસમાં યોજાશે." ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વનડે સીરિઝ 14થી 19 જુલાઈ દરમિયાન રમાશે, જેના મેચ બર્મિંગહામ, કાર્ડિફ અને લોર્ડ્સના મેદાન પર રમાવાના છે.

અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાં વિરાટ કોહલીને આરામ અપાયો

37 વર્ષીય વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાના કારણે અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી હોમ વનડે સીરિઝમાં રમી શક્યો નહોતો, તેના સ્થાને ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર બેટ્સમેન જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. દિનશો પારદીવાલાની સલાહ લઈ રહ્યો છે, જેઓ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં છે અને BCCIના કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપી રહ્યા છે.

આ પણ વાંચો: 41 વર્ષના ફેફ ડુ પ્લેસિસનું તોફાન: મેજર લીગ ક્રિકેટમાં ફટકારી અણનમ સદી, પોલ કોલિંગવુડનો 9 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત

IPL 2026ના ફાઇનલ મુકાબલા દરમિયાન લાગી હતી ઈજા

IPL 2026ની ફાઇનલ મેચમાં 42 બોલમાં અણનમ 75 રનની મેચ વિનિંગ ઇનિંગ રમતી વખતે વિરાટ કોહલીને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. આ શાનદાર ઇનિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સ સામે 156 રનનો ટાર્ગેટ ચેઝ કરીને સતત બીજી વખત IPLનો ખિતાબ જીત્યો હતો. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં કોહલી લંડનમાં પોતાના RCBના સાથી ખેલાડી અને ઇંગ્લિશ બેટ્સમેન જોર્ડન કોક્સ સાથે સમય વિતાવતો જોવા મળ્યો હતો. T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલી હવે ભારત માટે માત્ર વનડે ફોર્મેટમાં રમે છે. તે છેલ્લે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની હોમ સીરિઝમાં રમ્યો હતો, જ્યાં તેણે 80ની સરેરાશ અને 105.26ના સ્ટ્રાઈક રેટથી 240 રન બનાવીને ભારત માટે સૌથી વધુ રન સ્કોર કર્યો હતો.