ક્રિકેટ નહીં દારૂની બ્રાન્ડના પ્રચાર માટે ખરીદી હતી RCB, વિજય માલ્યાની કબૂલાત
Vijay Mallya On Bought RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ IPL 2025નો ખિતાબ જીત્યા બાદ સતત ચર્ચામાં છે. 18 વર્ષ બાદ ટીમે પહેલીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાએ આ ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરી અને RCB ખરીદવા પાછળનું વાસ્તવિક કારણ પણ જણાવ્યું છે.
મુંબઈની ટીમ માટે પણ બોલી લગાવી હતી
યુટ્યુબર રાજ શમાણી સાથે પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન માલ્યાએ કહ્યું કે, IPL સાથે મારો સંબંધ લલિત મોદીના અપ્રોચથી શરૂ થયો હતો. તેમણે કહ્યું કે, 'લલિત મોદીએ BCCI કમિટી સમક્ષ IPL માટે પોતાનું વિઝન રજૂ કર્યું હતું, જેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો. એક દિવસ તેમણે મને ફોન કર્યો અને કહ્યું કે ટીમોનું ઓક્શન થવા જઈ રહ્યું છે, શું તમે ટીમ ખરીદવા માંગો છો? ત્યારબાદ મેં ત્રણ ફ્રેન્ચાઇઝી માટે બોલી લગાવી. મેં મુંબઈની ટીમ માટે પણ બોલી લગાવી હતી, પરંતુ ખૂબ જ ઓછા માર્જિનથી રહી ગયો.'
IPL ભારતીય ક્રિકેટ માટે ગેમ ચેન્જર
માલ્યાએ આગળ કહ્યું કે, જ્યારે મેં 2008માં RCB ખરીદવા માટે બોલી લગાવી ત્યારે મેં IPLને ભારતીય ક્રકેટ માટે ગેમ ચેન્જર તરીકે જોયું. મારું વિઝન એક એવી ટીમ બનાવવાનું હતું જે બેંગ્લુરુની ઓળખ બને. ઉર્જાથી ભરપૂર, મોર્ડન અને ગ્લેમરસ. તે સમયે અમે 112 મિલિયન ડોલર (લગભગ રૂ. 600-700 કરોડ)ની બોલી લગાવી હતી, જે તે સમયે બીજી સૌથી મોટી બોલી હતી. મને આ લીગની પોટેન્શિયલ પર પૂરો વિશ્વાસ હતો. હું ઇચ્છતો હતો કે RCB માત્ર એક ક્રિકેટ ટીમ નહીં પણ એક બ્રાન્ડ બને. તેથી મેં તેને 'રોયલ ચેલેન્જ' સાથે જોડી, જે અમારી સૌથી વધુ વેચાતી દારૂ બ્રાન્ડ્સમાંની એક હતી. આનાથી ટીમને એક મજબૂત અને પ્રીમિયમ ઓળખ મળી.
ક્રિકેટ નહીં દારૂની બ્રાન્ડના પ્રચાર માટે ખરીદી હતી RCB
માલ્યાએ એ ર્યુંબૂલ કબૂલ કર્યું કે, RCB ખરીદવા પાછળ મારો ઈરાદો ક્રિકેટ નહીં પણ ની પોતાની વ્હિસ્કી બ્રાન્ડ 'રોયલ ચેલેન્જ'ને પ્રમોટ કરવાનો હતો. તેણે કહ્યું કે, 'હું ઈચ્છતો હતો કે, RCB માત્ર એક ક્રિકેટ ટીમ જ ન રહે, પરંતુ એક લાઇફસ્ટાઈલ બ્રાન્ડ બને. આફ્ટર પાર્ટીસ, ચીયરલીડર્સ, ચાહકો સાથે જોડાવું, આ બધું સમજી વિચારીને કરવામાં આવ્યું હતું, જેથી RCBને સૌથી ગ્લેમરસ ફ્રેન્ચાઈઝી બનાવી શકાય. કિંગફિશર અને રોયલ ચેલેન્જ અમારા સ્પોન્સર હતા, તો અમે દરેક મેચને એક મોટી ઈવેન્ટ બનાવી દીધી. લોકોએ કહ્યું કે આ બધુ એક દેખાડો છે, પરંતુ અમારા માટે તે એક વ્યૂહરચના હતી. બેંગ્લોરના લોકોને આ બધું ખૂબ પસંદ આવ્યું અને ધીમે-ધીમે RCB શહેરની ધડકન બની ગઈ.'
વિરાટ કોહલીને કેમ પસંદ કર્યો?
વિરાટ કોહલીની પસંદગી પર માલ્યાએ કહ્યું કે, 'મેં પોતે એવા ખેલાડીઓ પસંદ કર્યા હતા જે RCBને એક મજબૂત ટીમ બનાવી શકે. પરંતુ મને સૌથી વધુ ગર્વ વિરાટ કોહલીની ક્ષમતાને ઓળખવાનો છે. તે સમયે તે અંડર-19 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો હતો. મને અંદરથી એવી ફીલિંગ હતી કે,આ છોકરો ખાસ છે અને મેં તેના પર બોલી લગાવી. હું અંડર-19 વર્લ્ડ કપમાં તેની બેટિંગથી ખૂબ પ્રભાવિત થયો હતો. તેથી જ મેં તેને પસંદ કર્યો હતો. આજે 18 વર્ષ પછી પણ તે ટીમનો હિસ્સો છે. આ એક મોટી વાત છે. તેની પાસે જબરદસ્ત એનર્જી અને ટેલેન્ટ હતું. આજે તે ભારતના સૌથી મોટા ક્રિકેટર્સમાંથી એક છે.'
તમને જણાવી દઈએ કે, જ્યારે માલ્યાને પૂછવામાં આવ્યું કે જો તમે આજે RCBના માલિક હોત તો કયા ખેલાડીઓ ખરીદ્યા હોત, ત્યારે તેણે જવાબ આપ્યો કે, હું જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓને ખરીદ્યા હોત.