'મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી...' ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો
Vijay Mallya: એક સમયે બિઝનેસ જગતના મોટા નામોમાં ગણાતા વિજય માલ્યાને લોકો હવે ભાગેડું કહી રહી રહ્યા છે. ભારત પણ બ્રિટનથી માલ્યાના પ્રત્યાર્પણના પ્રયાસમાં લાગ્યું છે. આ દરમિયાન તેમણે કિંગફિશર એરલાઇન્સના ડૂબવા પર ખૂલીને વાત કરી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પર પ્રહાર કર્યા. માલ્યાએ કહ્યું કે, કંપનીની ખરાબ સ્થિતિ સમયે તે પ્રણવ મુખર્જી પાસે ગયો હતો.
એક પૉડકાસ્ટમાં માલ્યાએ '2008માં વૈશ્વિક આર્થિક મંદીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, હું આ વાતથી સંમત છું કે, 2008 સુધી અમારા પક્ષમાં કામ કર્યું. ત્યાર પછી શું થયું? શું તમે ક્યારેય લેહમન બંધુનું નામ સાંભળ્યું છે? તમે ક્યારેય વૈશ્વિક સંકટ વિશે સાંભળ્યું છે? શું તેની ભારત પર અસર નહીં પડી હોય? વૈશ્વિક મંદીના કારણે દરેક સેક્ટર પર અસર પડી હતી. પૈસા આવવાના અટકી ગયા હતા, ત્યારે ભારતીય રૂપિયાના મૂલ્ય પર પણ તેની અસર થઈ હતી.'
કેમ પ્રણવ મુખર્જીનો કર્યો ઉલ્લેખ?
કિંગફિશર એરલાઇન્સની મુશ્કેલીના સમયની વાત યાદ કરતાં માલ્યાએ કહ્યું કે, 'હું પ્રણવ મુખર્જી પાસે ગયો હતો અને કહ્યું હતું કે, એક મુશ્કેલી છે. કિંગફિશર એરલાઇન્સનું કામ ઓછું કરવાની જરૂર છે. વિમાનોની સંખ્યા ઘટાડવા, કર્મચારીઓને કાઢવાની જરૂર છે, કારણ કે આવી આર્થિક સ્થિતિમાં કામ નહીં કરી શકાય. જોકે, ત્યારે મને કામ ઘટાડવાનો ઇન્કાર કરી દેવાયો. મને કહ્યું કે, કામ ચાલુ રાખો, બૅન્ક તમારી મદદ કરશે. આ બધું આ પ્રકારે જ શરુ થયું. કિંગફિશર એરલાઇન્સને પોતાની બધી ઉડાન કેન્સલ કરવી પડી અને બાદમાં એરલાઇન્સને સંઘર્ષ કરવો પડ્યો. જે સમયે મેં લોન માંગી ત્યારે કંપનીનું પ્રદર્શન સારું નહોતું.'
આ પણ વાંચોઃ જ્યારે દીકરાએ ખુદ ઓપરેશન સિંદૂર અંગે શશી થરુરને પૂછ્યો સવાલ, જાણો શું જવાબ મળ્યો
માલ્યાએ ખુદને ચોર કહેવાના પ્રશ્ન પર કહ્યું કે, 'માર્ચ 2016 બાદ ભારત ન જવાના કારણે મને ભાગેડું કહેવામાં આવે છે. હું ભાગ્યો નહતો. હું પહેલાંથી નક્કી કરેલી યાત્રા પર ભારતથી નીકળ્યો હતો. એ સાચું છે કે, હું મને યોગ્ય લાગ્યા તે કારણોથી પરત ન ફર્યો. એવામાં જો તમે મને ભાગેડું કહો છો તો કહો પરંતુ, ચોર ક્યાંથી આવી ગયું... ક્યાં થઈ છે ચોરી?