ટીમ ઈન્ડિયા સાથે સોહમ દેસાઇનો સફર સમાપ્ત થતાં ભાવુક થયો મોહમ્મદ સિરાજ, કહ્યું- તમારો પ્રભાવ હંમેશા રહેશે
Mohammed Siraj Wrote Emotional Note For Soham Desai: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ખરાબ પર્ફોર્મન્સ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયા માટે આકરો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ કોચ સોહમ દેસાઈ અને એક મસાજરની પણ હાંકલપટ્ટી કરવામાં આવી છે. બીસીસીઆઈએ ફિલ્ડિંગ કોચ ટી. દિલિપને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બાદમાં બોર્ડે યૂ-ટર્ન લેતાં ટી. દિલિપને ફરીથી ફિલ્ડિંગ કોચ બનાવવાનું નક્કી કર્યું છે.
સિરાજે સોહમ દેસાઈ માટે લાગણી વ્યક્ત કરી
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પણ સોહમ દેસાઈ માટે એક ભાવનાત્મક પોસ્ટ કરી હતી કે, 'એવી વ્યક્તિને ગુડબાય કહેવું ક્યારેય સરળ નથી જે ફક્ત કોચ જ નહીં, પણ માર્ગદર્શક, મેન્ટર અને ભાઈ રહ્યો છે. આ અંત નથી, અમે તમને ફરી મળીશું. તમારો પ્રભાવ હંમેશા મારી સાથે રહેશે. ડ્રેસિંગ રૂમમાં, જીમમાં અને અમે જે પણ દોડમાં ભાગ લઈએ છીએ તેમાં તમારી ગેરહાજરી અનુભવાશે.'
સોહમે લખી ભાવુક પોસ્ટ
સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ કોચ સોહમ દેસાઈ 31 મેના રોજ સત્તાવાર રૂપે ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફથી અલગ થયા છે. સોહમ દેસાઈ રવિ શાસ્ત્રીના સમયથી ટીમ સાથે જોડાયેલા હતાં. ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખી દેસાઈએ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પોતાના સમયે ટીમ ઈન્ડિયાએ મેળવેલી અમુક અવિશ્વસનીય ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
સોહમ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી કે, આટલા વર્ષો સુધી ભારતીય ક્રિકેટની સેવા કરવી સન્માનજનક અને સૌભાગ્યની વાત છે. પહેલાં દિવસથી જ મારૂ લક્ષ્ય સ્પષ્ટ હતું કે, માનસિક પડકારોને દૂર કરવી, વૈશ્વિક ઉત્કૃષ્ટતા તરફ પ્રયાણ અને પોતાના મૂલ્યો સાથે જોડાઈને રહેવું, ક્યારેય નિષ્ફળતાથી ગભરાવવુ નહીં અને દરેક પરિસ્થિતિમાં પોતાનું યોગદાન આપતું રહેવું.
રવિ શાસ્ત્રી અને કોહલીનો આભાર માન્યો
આગળ લખ્યું કે, હું રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીનો હંમેશા આભારી રહીશ. જેમણે 29 વર્ષીય યુવકને પોતાના સપનાઓ પૂરા કરવા આંતરરાષ્ટ્રીય મંચ પૂરુ પાડ્યું. રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા માટે મારી પાસે શબ્દો નથી. તેમના વિશ્વાસ, સમર્થન, અને વિશ્વાસના સહારે મારા પ્રવાસને આકાર મળ્યો છે. તેમનો જેટલો પણ આભાર માનું તેટલો ઓછો છે. વધુમાં સોહમે ફિઝિયો, સ્પોર્ટસ થેરાપિસ્ટ, ઓપરેશન ટીમ અને ટીમ ડોક્ટરનો પણ આભાર માન્યો હતો.
સોહમ દેસાઈએ ભારતીય ટીમ પહેલા ગુજરાતની રણજી ટીમની ફિટનેસ પર પણ કામ કર્યું હતું. સોહમની પોતાની ફિટનેસ અદ્ભુત છે. તે જીમમાં ખેલાડીઓની સાથે સાથે પોતાના પર પણ સખત મહેનત કરે છે. દેસાઈને સ્વિમિંગ અને ટ્રેકિંગનો ખૂબ શોખ છે. BCCI એ હજુ સુધી આગામી સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચની જાહેરાત કરી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા નિમણૂક કરવામાં આવશે. ભારતીય ટીમ થોડા દિવસોમાં પાંચ ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડ રવાના થશે.