India vs South Africa T20 WC 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કાંટાની ટક્કર થવા જઈ રહી છે. આ મેચનું સૌથી રસપ્રદ વાત એ છે કે બે સગા ભાઈઓ, મોર્ને મોર્કેલ અને એલ્બી મોર્કેલ, સામસામેની ટીમો માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. મોર્ને મોર્કેલ હાલમાં ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફની મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 544 વિકેટ લેવાનો બહોળો અનુભવ ધરાવતા મોર્ને સાઉથ આફ્રિકાના બેટર્સની તમામ નબળાઈઓથી સારી રીતે વાકેફ છે અને તેમણે જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ બોલરો સાથે મળીને આફ્રિકન ટીમના બેટિંગ ઓર્ડરને તોડવા માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરી છે.
પિચ અને ખેલાડીઓની રમતની ઊંડી સમજ
બીજી તરફ, તેના મોટા ભાઈ એલ્બી મોર્કેલ સાઉથ આફ્રિકાની ટીમમાં સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. એલ્બી પાસે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) તરફથી રમવાનો બહોળો અનુભવ છે, જેના કારણે તેઓ ભારતની પિચની પરિસ્થિતિ અને ભારતીય ખેલાડીઓની રમતને ખૂબ જ સારી રીતે જાણે છે. હાલમાં એલ્બી સાઉથ આફ્રિકાના સ્પિનરો સાથે મળીને ભારતીય બેટર્સને ફસાવવાની ખાસ રણનીતિ તૈયાર કરી રહ્યા છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં વરસાદને કારણે મેચ રદ થાય તો શું થશે? જાણો ICCનો નિયમ
મેચ પહેલા ભાઈઓ વચ્ચે વાતચીત બંધ!
આ મેચ અંગે મજાક કરતા એલ્બી મોર્કેલે કહ્યું કે, 'અમે અત્યારે આ મેચ વિશે એકબીજા સાથે વાત નથી કરતા. સૌથી વધુ પરેશાન તો અમારી મમ્મી છે, તેને સમજાતું નથી કે કોને સપોર્ટ કરવો!' જોકે મેદાન પર બંને ભાઈઓ પોતપોતાની ટીમની જીત માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે. એકબાજુ મોર્ને નેટ્સમાં ભારતીય બેટર્સની રમત સુધારી રહ્યા છે, તો બીજી તરફ એલ્બી દક્ષિણ આફ્રિકાના બોલરોને દબાણમાં શાંત રહીને બોલિંગ કરવાની સલાહ આપી રહ્યા છે.
આજના આ મુકાબલામાં લોહીનો સંબંધ એક તરફ રહેશે અને પ્રોફેશનલ જવાબદારી બીજી તરફ. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદના મેદાનમાં કયા 'મોર્કેલ'ની રણનીતિ મેદાન મારી જાય છે અને કઈ ટીમને સુપર-8ના પોઈન્ટ ટેબલમાં ફાયદો થાય છે.


