ટીમ ઈન્ડિયાને ગાવસ્કરની મહત્ત્વની સલાહ, કહ્યું - 'સંજુ સેમસનને રિઝર્વમાં ન રાખી શકાય'
Asia Cup 2025: એશિયા કપ 2025 માટે ભારતીય ખેલાડીઓ 4 સપ્ટેમ્બરના રોજ દુબઈ પહોંચી ગયા છે. આ ટૂર્નામેન્ટ માટે સંજુ સેમસનને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે, વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન માટે ભારતની પ્લેઈંગ-11માં સ્થાન બનાવવું સરળ નથી. લાંબા સમય પછી T20 ટીમમાં વાપસી કરનાર શુભમન ગિલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને તે અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે.
સંજુ સેમસનને રિઝર્વમાં ન રાખી શકાય
સંજુ સેમસને તાજેતરના સમયમાં T20 ઈન્ટરનેશનલમાં ઓપનિંગ કરી છે. હવે ગિલના આવ્યા બાદ સવાલ ઉઠી રહ્યા છે કે, સંજુ કયા નંબર પર રમશે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, સંજુ સેમસનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર ન રાખી શકાય. ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને સલાહ આપતા કહ્યું કે, જો તમે સંજુ સેમસન જેવા ખેલાડીને કોર ટીમમાં લો છો, તો તમે તેને રિઝર્વ ખેલાડીઓમાં ન રાખી શકાય.
સંજુ સેમસન ફિનિશરની ભૂમિકા ભજવવા માટે પણ સક્ષમ
ગાવસ્કરના મતે સંજુ સેમસન નંબર-3 પર પણ રમી શકે છે. અથવા જો જરૂર પડવા પર તે ફિનિશરની ભૂમિકા ભજવવા માટે પણ સક્ષમ છે. ગાવસ્કરે એમ પણ કહ્યું કે, સંજુ વિકેટકીપિંગમાં જીતેશ શર્મા પર ભારી પડી શકે છે. ગાવસ્કરે કહ્યું કે, 'મને લાગે છે કે સેમસનને ઓછામાં ઓછી શરૂઆતની બે મેચમાં જીતેશથી આગળ રમવાની તક મળશે. પછી, તેના ફોર્મ પર નિર્ભર રહેશે. મને લાગે છે કે આવું થશે.' ગાવસ્કરે સંભવિત બેટિંગ ઓર્ડર પણ સૂચવ્યો, જેમાં તેણે સેમસનને ત્રીજા નંબર પરબેટિંગ માટે પસંદ કર્યો. તેના પછી, તેણે સૂર્યકુમાર યાદવ (ચોથો), તિલક વર્મા (પાંચમો) અને હાર્દિક પંડ્યા (છઠ્ઠો)ને રાખ્યો.
ઘરેલુ અને લીગ ક્રિકેટમાં સંજુ સેમસને ત્રીજા નંબર પર રમતા કુલ 134 ઈનિંગ્સમાં 4136 રન બનાવ્યા છે. જેમાં 31 અડધી સદી અને 5 સદી સામેલ છે. સંજુ સેમસનની તાકાત મોટા શોટ રમવાની છે, જે ટોપ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગ માટે મહત્વપૂર્ણ છે.