એવું વર્તન કરજે કે અન્ય ખેલાડીઓ પણ સન્માન આપે: ગિલને ગાવસ્કરની ખાસ સલાહ
Sunil Gavaskar on Shubman Gill as Test Captain: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સીરિઝની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે રિષભ પંતને વાઈસ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓ હોવા છતાં, આ વખતે બોર્ડે એક યુવાન ખેલાડીને કેપ્ટનશીપ સોંપી છે.
શુભમન ગિલ 20 જૂનથી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ફોર્મેટમાં ભારતની કેપ્ટનશીપ શરૂ કરશે. આ 26 વર્ષીય સ્ટાર બેટર કેપ્ટન બન્યા પછી, દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ખાસ સલાહ આપી છે.
કેપ્ટનનું વર્તન તેના પ્રદર્શન કરતાં વધુ મહત્ત્વનું છે: સુનીલ ગાવસ્કર
સુનિલ ગાવસ્કરે શુભમન ગિલના કેપ્ટન બનવા પર એક ઈન્ટરવ્યૂમાં સલાહ આપતા કહ્યું કે, 'ભારતના કેપ્ટન તરીકે પસંદ કરાયેલા ખેલાડી પર હંમેશા દબાણ રહે છે કારણ કે ટીમના સભ્ય હોવા અને કેપ્ટન હોવા વચ્ચે ઘણો તફાવત છે, કારણ કે જ્યારે તમે ટીમના સભ્ય હોવ છો, ત્યારે તમે સામાન્ય રીતે ફક્ત તમારા નજીકના ખેલાડીઓ સાથે જ વાતચીત કરો છો, પરંતુ જ્યારે તમે કેપ્ટન બનો છો, ત્યારે તમારે એવી રીતે વર્તવું જોઈએ કે ટીમના અન્ય ખેલાડીઓ તમારો આદર કરે અને કેપ્ટનનું વર્તન તેના પ્રદર્શન કરતાં વધુ મહત્ત્વનું છે.'
શુભમન ગિલનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન
વર્ષ 2020 માં, શુભમન ગિલે ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું. ત્યારથી, તેણે 32 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ગિલે 59 ઇનિંગ્સમાં 1893 રન બનાવ્યા છે. શુભમને ટેસ્ટમાં 5 સેન્ચુરી અને 7 ફિફ્ટી ફટકારી છે.