શું રોહિત શર્મા અને કોહલી વન-ડે વર્લ્ડ કપ 2027 રમશે? જાણો સુનિલ ગાવસ્કરે શું કહ્યું
Sunil Gavaskar On Sharma And Kohli Retirement: ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027ના ODI વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગે અટકળો થઈ રહી છે. ત્યારે પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે આ મુદ્દે કેટલીક વાત કરી છે. તેમણે કહ્યું છે કે, T20 આંતરરાષ્ટ્રીય અને હવે ટેસ્ટ ક્રિકેટમાંથી રાજીનામું આપ્યા પછી આ બંને ક્રિકેટર ODI વર્લ્ડ કપ નહીં રમે.
ગાવસ્કરે એક ઈન્ટરવ્યૂમાં આ અંગે જવાબ આપતાં જણાવ્યું કે, 'ના, મને નથી લાગતું કે તે (વનડે વર્લ્ડ કપ) રમશે. સાચું કહું તો, મને નથી લાગતું કે બંને 2027 સુધી રમશે. જોકે, એવી શક્યતા છે કે તે આગામી એક વર્ષમાં શાનદાર ફોર્મમાં તેમનું કમબેક જોવા મળશે અને સતત સદીઓ ફટકારતા રહેશે. જો આવું થશે તો તેમની હાલ પૂરતી ટીમમાંથી દૂર કરવાની શક્યતા નહીવત છે.
પસંદગી સમિતિ પર નિર્ભર રહેશે નિર્ણય
ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ અપાવવામાં રોહિત અને વિરાટની જોડીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ અંગે ગાવસ્કરે કહ્યું કે, 'આ બંને ક્રિકેટર આ ફોર્મેટમાં ખૂબ જ સારું પર્ફોર્મન્સ કરી રહ્યા છે. પરંતુ આપણે વિચારવું જોઈએ કે, તેઓ 2027ના વર્લ્ડ કપ માટે ટીમમાં હશે? શું તે જે પ્રકારનું યોગદાન આપવા માટે જાણીતા છે તે કરી શકશે? પસંદગી સમિતિએ આ અંગે ઘણો વિચાર કરવો પડશે. જો પસંદગી સમિતિને લાગે કે તેઓ તે સમયે ટીમમાં એટલું જ યોગદાન આપશે જેટલું તેઓ અત્યારે આપી રહ્યા છે, તો આ બંને ખેલાડી પોતાનું સ્થાન જાળવી શકે છે.
કોહલીની નિવૃત્તિ વિશે પણ ગાવસ્કરે કરી વાત
પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કર કોહલીના નિવૃત્તિના નિર્ણયથી આશ્ચર્યચકિત નથી. તેમણે કહ્યું કે 'બંને ખેલાડીઓએ સિલેક્ટર્સ સાથે વાત કર્યા પછી જ આ નિર્ણય લીધો છે. બંનેએ પોતાની શરતો પર નેશનલ ટીમથી અલગ થવાનો નિર્ણય લીધો છે. હું તેમની પ્રશંસા કરીશ. દરેક ચાહક ઇચ્છતો હતો કે આ બંને ખેલાડી પોતાની શરતો પર રમતને અલવિદા કહે અને એવું જ થયું.
બુમરાહને આગામી ટેસ્ટ કેપ્ટન બનાવો
ગાવસ્કરે બુમરાહની ઈજા અંગેની ચિંતાઓને દૂર કરતાં તેને ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બનવાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું, 'મારા માટે જસપ્રીત બુમરાહ ટીમનો કેપ્ટન હોવો જોઈએ. જો તમે કોઈ બીજાને નિયુક્ત કરો છો, તો તેઓ હંમેશા બુમરાહ પાસેથી વધારાની ઓવર માંગશે કારણ કે તે તમારો નંબર વન બોલર છે. તેની પાસે ગમે ત્યારે વિકેટ લેવાની ક્ષમતા છે. જો બુમરાહ પોતે કેપ્ટન હોય તો તે સમજી શકશે કે, ક્યારે આરામ કરવો જરૂરી છે.’