Get The App

કોહલીનો કેચ 0 પર છોડવો ભારે પડ્યો, 3 ઓવરમાં તો બાઉન્ડ્રી ન ફટકારી, ગિલે જણાવ્યા હારના કારણ

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
કોહલીનો કેચ 0 પર છોડવો ભારે પડ્યો, 3 ઓવરમાં તો બાઉન્ડ્રી ન ફટકારી, ગિલે જણાવ્યા હારના કારણ 1 - image


GT vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ શુક્રવારે (24મી એપ્રિલ) રાત્રે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે પરાજય આપી પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન કબજે કર્યું છે. સાઈ સુદર્શનની શાનદાર સદી છતાં ગુજરાત 205 રનનો સ્કોર બચાવવામાં નિષ્ફળ રહ્યું હતું. મેચ બાદ ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે હાર પાછળની ભૂલોનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો.

કોહલીનો કેચ છોડવો સૌથી મોટી ભૂલ

મેચનો સૌથી નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે વિરાટ કોહલી હજુ શૂન્ય (0) રને હતો અને વોશિંગ્ટન સુંદરે તેનો કેચ છોડી દીધો હતો. ગિલે સ્વીકાર્યું કે, 'જ્યારે તમે કોહલી જેવા બેટ્સમેનનો કેચ શૂન્ય પર છોડો છો, ત્યારે તેની કિંમત ટીમ માટે ખૂબ મોટી હોય છે.' આ 'જીવતદાન'નો લાભ લઈને કોહલીએ 44 બોલમાં 81 રનની આક્રમક ઈનિંગ રમી મેચ ગુજરાતના હાથમાંથી છીનવી લીધી હતી.

આ પણ વાંચો: RCB vs GT: સાઈ સુદર્શનની સદી! ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી મોટી સિદ્ધિ હાંસલ કરી

ડેથ ઓવર્સમાં બાઉન્ડ્રીનો દુષ્કાળ

ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 205/3 રન બનાવ્યા હતા, પરંતુ અંતિમ ઓવરોમાં રન ગતિ અટકી ગઈ હતી. શુભમન ગિલે જણાવ્યું કે, '16મી થી 19મી ઓવર વચ્ચે અમે એક પણ બાઉન્ડ્રી ફટકારી શક્યા નહીં. આ ત્રણ ઓવર અમારા માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ અને અમે જે 10-20 રન ઓછા બનાવ્યા તે જ હારનું કારણ બન્યા.'

બોલિંગમાં લેન્થની જાળવણીનો અભાવ

RCB ના 206 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દેવદત્ત પડિકલ (55) અને કોહલી વચ્ચે 115 રનની ભાગીદારી થઈ હતી. ગિલે બોલિંગ અંગે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, 'પાવરપ્લે બાદ અમે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા. અમે સતત યોગ્ય લેન્થ જાળવી શક્યા નહીં, જે આ પિચ પર જરૂરી હતી.'

સાઈ સુદર્શનની સદી વ્યર્થ ગઈ

ગુજરાત તરફથી સાઈ સુદર્શને માત્ર 58 બોલમાં 100 રન ફટકારીને આ સીઝનની તેની પ્રથમ સદી પૂર્ણ કરી હતી. જોકે, ટીમની નબળી ફિલ્ડિંગ અને અંતિમ ઓવરોમાં ધીમી બેટિંગને કારણે તેની આ મહેનત વ્યર્થ ગઈ હતી.