હું એમ નથી કહેતો કે તેને કૅપ્ટન બનાવી દો, પણ...', શ્રેયસ અય્યરના પિતા BCCIના નિર્ણયથી નારાજ
India Asia Cup 2025 Squad: એશિયા કપ 2025 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાવા જઈ રહ્યો છે. BCCIએ 19 ઑગસ્ટના રોજ એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાનું એલાન કર્યું હતું. પરંતુ ભારતની આ 15 સભ્યોની ટીમમાં શ્રેયસ અય્યરને સામેલ કરવામાં નથી આવ્યો. હવે આ અંગે શ્રેયસના પિતા સંતોષ અય્યરે BCCI સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેના પર સવાલ ઉઠાવ્યા છે.
શ્રેયસ અય્યરના પિતા BCCIના નિર્ણયથી નારાજ
શ્રેયસ અય્યરના પિતા સંતોષ અય્યરે એક ઇનટરવ્યુમાં કહ્યું કે, 'મને નથી ખબર કે શ્રેયસે ભારતની T20 ટીમમાં સ્થાન મેળવવા માટે વધુ શું કરવું જોઈએ. દિલ્હી કેપિટલ્સથી કોલકાતા નાઇટ રાઇડર્સ અને KKRથી પંજાબ કિંગ્સ સુધી અય્યર દર વર્ષે IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પોતાની કૅપ્ટનશીપમાં 2024માં તેણે KKR માટે IPL ટાઇટલ જીતાડ્યું અને 2025માં પંજાબ કિંગ્સની કૅપ્ટનશીપ કરતાં ટીમને ફાઇનલમાં પહોંચાડી.'
સંતોષ અય્યરે BCCIને ઘેરતાં આગળ કહ્યું કે, હું એમ નથી કહેતો કે તેને કૅપ્ટન બનાવી દો, પરંતુ કમ સે કમ તેને ટીમમાં સિલેક્ટ તો કરો. શ્રેયસ વિશે વાત કરતાં સંતોષ અય્યરે કહ્યું કે, તે હંમેશા બસ એટલું જ કહે છે કે મારું નસીબ છે. તમે તેમાં કંઈ ન કરી શકો. તે હંમેશા શાંત રહે છે. તે ક્યારેય કોઈ પર આરોપ પણ નથી લગાવતો, પરંતુ તે અંદરથી ખૂબ નિરાશ છે.
IPL 2025 શ્રેયસનું પ્રદર્શન
શ્રેયસ અય્યરનું IPL 2025માં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. અય્યરની કૅપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી IPL પ્લેઑફ માટે ક્વોલિફાય થયું હતું. કૅપ્ટનશીપની સાથે અય્યરે શાનદાર બેટિંગ કરતાં 17 મેચમાં 50.33ની એવરેજથી 604 રન બનાવ્યા. IPLની 18મી સીઝનમાં આ ખેલાડીનો શ્રેષ્ઠ સ્કોર 97 અણનમ રહ્યો છે. આ સિઝનમાં અય્યર પાંચ વખત અણનમ રહ્યો હતો.
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને રિન્કુ સિંહ.