Sanju Samson Helmet Throw Celebration: T20 વર્લ્ડ કપ 2026માં સુપર-8ની અંતિમ મેચ ભારત અને વેસ્ટઈન્ડીઝની ટીમ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં યોજાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થતાં સેમિફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે. જેમાં વિકેટકીપર-બેટર સંજૂ સેમસને 50 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 97* રન કર્યા હતા. જીતની ઉજવણી કરતી વખતે સંજૂએ તેનું હેલ્મેટ ગ્રાઉન્ડ પર ફેંક્યું હોવાથી અનેક સવાલો ઉઠ્યા છે કે, શું સંજૂ સેમિ ફાઈનલમાં નહીં રમી શકે? તેવામાં શું છે ICCનો નિયમ, જાણો વિગતે.
ભારતીય ખેલાડીએ વિનિંગ શૉટ રમ્યા બાદ જીતને લઈને અનોખુ સેલિબ્રેશન કર્યું હતું. જેમાં સંજૂ સેમસને પોતાનું હેલ્મેટ મેદાન પર ફેંકી દીધુ હતુ. સંજૂએ હેલ્મેટ મેદાન પર ફેંકવાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કે, શું તેઓની આ હરકતને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(ICC) તેના પર દંડ ફટકારી શકે છે?
શું સંજૂ સેમસનને દંડ થશે?
તમને જણાવી દઈએ કે, સંજૂ દ્વારા મેદાન પર હેલ્મેટ ફેંકવું મોંઘુ સાબિત થઈ શકે છે. ICC તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરી શકે છે. નિયમો અનુસાર, ખેલાડીઓ દ્વારા મેદાન પર હેલ્મેટ કે બેટ ફેંકવું એ ગેરવર્તણૂક માનવામાં આવે છે. ICC ખેલાડીઓ દ્વારા આવા વર્તન અંગે ખૂબ કડક વલણ ધરાવે છે. આવા કિસ્સાઓમાં ખેલાડીઓને દંડ, ડિમેરિટ પોઈન્ટ અથવા સસ્પેન્શનની કાર્યવાહી પણ થઈ શકે છે.
ICC નિયમ અનુસાર, મેદાન પર ખેલાડી, અમ્પાયર અને બાકી લોકોની સુરક્ષિત રહે તે ધ્યાન રાખવાનું હોય છે. એટલાં માટે ખેલાડીઓને મેદાનમાં બેટ કે હેલ્મેટ જેવી વસ્તુ ફેંકવાથી રોકવામાં આવે છે. આમ કરવાથી કોઈને પણ અજાણતા ઈજા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ટૂર્નામેન્ટની બીજી સેમિફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 માર્ચે ગુરુવારે થશે. આ મેચ મુંબઈના વાનખડે સ્ટેડિયમમાં રમાશે. વર્ષ 2022માં T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પણ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ આમને સામને રહી હતી. તે મેચમાં ઈંગ્લેન્ડની જીત થઈ હતી.


