ગંભીરના પ્રયોગો નડ્યા, સૂર્યા-ગિલ ફરી ફ્લોપ, બીજી ટી-20માં હાર સાથે ભારતીય ટીમની તૈયારી પર ઊઠ્યા સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs South Africa T20: ભારતીય ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 સીરિઝની બીજી મેચમાં 51 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે (11મી ડિસેમ્બર) મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ 214 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 19.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતની આ હાર પાછળ નબળી બેટિંગ, બોલિંગની ખામીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર દ્વારા કરવામાં આવેલા આશ્ચર્યજનક પ્રયોગો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
ટોપ ઓર્ડર ફરી નિષ્ફળ
રન ચેઝમાં ભારતીય ટીમના બે મુખ્ય સ્ટાર બેટ્સમેનોનું સતત બીજી મેચમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું. વાઇસ કેપ્ટન શુભમન ગિલ પોતાનું ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર 5 રન બનાવીને આઉટ થયો. આ બંને ખેલાડીઓ કટકમાં રમાયેલી પ્રથમ T20માં પણ ફ્લોપ રહ્યા હતા.
ગંભીરના વિવાદાસ્પદ પ્રયોગો
કોચ ગૌતમ ગંભીરના કેટલાક બેટિંગ ઓર્ડરના નિર્ણયોએ મેચમાં મોટો ફરક પાડ્યો. શુભમન ગિલ આઉટ થયા બાદ ગંભીરે અક્ષર પટેલને ત્રીજા ક્રમે મોકલ્યો, જે ખૂબ જ આશ્ચર્યજનક નિર્ણય હતો. અક્ષર પટેલ 21 બોલનો સામનો કરીને માત્ર 21 રન બનાવી શક્યો. તેની આ ધીમી ઇનિંગે જરૂરી રન રેટ વધાર્યો અને ભારતીય ટીમ પર દબાણ વધાર્યું.
ઓલરાઉન્ડર શિવમ દુબેને આઠમા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો, જ્યારે મેચ લગભગ હાથમાંથી નીકળી ગઈ હતી (18મી ઓવરમાં). જો શિવમ દુબેને શરૂઆતમાં મોકલવામાં આવ્યો હોત, તો મેચનું પરિણામ કદાચ અલગ હોત.
આ પણ વાંચો: SMAT: સિલેક્શન ન થતાં ખેલાડીઓએ કોચને ધોઈ માર્યો, માથામાં 20 ટાંકા; BCCI એક્શનમાં
નબળી બોલિંગનો ખર્ચ
ભારતીય બોલરોએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું. દક્ષિણ આફ્રિકન ઇનિંગ્સની છેલ્લી ત્રણ ઓવરમાં જ ભારતીય બોલરોએ 49 રન આપ્યા, જેના કારણે વિપક્ષી ટીમ 213ના વિશાળ સ્કોર સુધી પહોંચી શકી. સૌથી મોંઘો બોલર સાબિત થયો, તેણે 54 રન આપ્યા અને એક પણ વિકેટ લીધી નહીં. જસપ્રીત બુમરાહે પણ 4 ઓવરમાં 45 રન આપીને નિરાશ કર્યા.
તિલક વર્માની લડાયક ઇનિંગ
ટીમની હાર વચ્ચે યુવા બેટર તિલક વર્માએ 62 રનની લડાયક ઇનિંગ રમીને ભારતને મોટી હારના માર્જિનથી બચાવ્યું હતું. આગામી 2026 T20 વર્લ્ડ કપને હવે વધુ સમય બાકી નથી, ત્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટના આ પ્રકારના બિનજરૂરી પ્રયોગો ટીમના સંતુલન અને તૈયારીઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે.









