SMAT: સિલેક્શન ન થતાં ખેલાડીઓએ કોચને ધોઈ માર્યો, માથામાં 20 ટાંકા; BCCI એક્શનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SMAT 2025 : સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માટે ટીમમાં પસંદગી ન થવાને કારણે પુડુચેરી ક્રિકેટ એસોસિએશન (CAP) ના અંડર-19 મુખ્ય કોચ એસ. વેંકટ રમન પર સોમવારે કથિત રીતે ત્રણ સ્થાનિક ક્રિકેટરોએ હુમલો કર્યો હતો. આ ચોંકાવનારી ઘટનામાં વેંકટ રમનને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં તેમને માથામાં ઈજા અને ખભામાં ફ્રેક્ચર થયું છે.
માથામાં 20 ટાંકા આવ્યા
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, હુમલામાં વેંકટ રમનના માથા પર 20 ટાંકા આવ્યા છે, પરંતુ તેમની હાલત સ્થિર છે. સેદારાપેટ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એસ. રાજેશના જણાવ્યા અનુસાર, ત્રણ ક્રિકેટરો - કાર્તિકેયન જયસુંદરમ (જે તમામ ફોર્મેટમાં છ મેચ રમી ચૂક્યા છે), એ. અરવિંદરાજ અને એસ. સંતોષ કુમારન (જે બંને રણજી ટ્રોફી મેચોમાં પુડુચેરીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે) - વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે ત્રણેય ખેલાડીઓ ફરાર છે અને તેમને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
હુમલાના ઉશ્કેરણીના આક્ષેપો અને વિવાદ
કોચ વેંકટ રમનએ પોતાની ફરિયાદમાં ભારતીદાસન પુડુચેરી ક્રિકેટર્સ ફોરમના સચિવ જી. ચંદ્રન પર પણ હુમલા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ભરથીદાસન પુડુચેરી ક્રિકેટર્સ ફોરમે ચંદ્રન સામેના આ આરોપોને નકારી કાઢ્યા હતા.
કોચ સામે પણ આરોપો
સ્થાનિક ક્રિકેટર્સ ફોરમના અધ્યક્ષ સેન્થિલ કુમારને જણાવ્યું કે વેંકટ રમન વિરુદ્ધ અગાઉ પણ ઘણા કેસ નોંધાયેલા છે. તેઓ અવારનવાર સ્થાનિક ક્રિકેટરો સાથે અભદ્ર વ્યવહાર કરતા હતા અને અયોગ્ય ભાષાનો ઉપયોગ કરતા હતા. તેમણે કહ્યું કે ચંદ્રન પ્રત્યેની તેમની દુશ્મની પણ જાણીતી છે, કારણ કે ફોરમે છેલ્લા સાત વર્ષમાં અનેક મુદ્દાઓ વારંવાર બીસીસીઆઈ સમક્ષ ઉઠાવ્યા છે.
CAP પર ગેરરીતિના આક્ષેપો અને BCCIની તપાસ
એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે CAP વહીવટીતંત્રે નકલી શૈક્ષણિક પ્રમાણપત્રો અને આધાર કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને બાહ્ય ખેલાડીઓને સ્થાનિક ખેલાડી તરીકે રજૂ કર્યા, જેનાથી પુડુચેરીના સ્થાનિક ક્રિકેટરોને નુકસાન થયું છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 2021 થી રણજી ટ્રોફીમાં માત્ર પાંચ જ વાસ્તવિક સ્થાનિક ખેલાડીઓનો સમાવેશ થયો હતો. આ ચોંકાવનારા ખુલાસાઓ પછી, બીસીસીઆઈએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું.
બીસીસીઆઈ સચિવનું રિએક્શન
બીસીસીઆઈના સચિવ દેવજીત સાઇકાએ જણાવ્યું કે "સમાચારોમાં કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, તેથી બીસીસીઆઈ ટૂંક સમયમાં આ મામલે તપાસ કરશે". જોકે, CAP ના સીઇઓ રાજુ મહેતાએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઇનકાર કર્યો અને કહ્યું કે CAP નું પ્રતિનિધિત્વ કરનારા દરેક ખેલાડીએ બીસીસીઆઈના પાત્રતાના માપદંડોનું કડકપણે પાલન કર્યું છે, અને ભ્રષ્ટાચાર પ્રત્યે કોઈ સહનશીલતા નથી.









