Sports

રિષભ પંતનું વન-ડેમાંથી કપાશે પત્તું! 2 ઘરેલુ ટુર્નામેન્ટમાં તોફાની બેટિંગ કરનાર સ્ટાર ખેલાડીને મળશે મોકો

By GS TEAM
28 Dec 20252 mins read
TukuTouch Logo
ભારતીય વનડે ટીમમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. વિકેટકીપર અને બેટર રિષભ પંતને ન્યૂઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની ઘરેલુ વનડે સિરીઝમાંથી બહાર કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ટીમ મેનેજમેન્ટ 2025-26 સિઝનની છેલ્લી ઘરેલુ સિરીઝ પહેલા ફોર્મ અને ટીમના સંતુલનને પ્રાથમિકતા આપવા માંગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રિષભ પંતનું વન-ડેમાંથી કપાશે પત્તું! 2 ઘરેલુ ટુર્નામેન્ટમાં તોફાની બેટિંગ કરનાર સ્ટાર ખેલાડીને મળશે મોકો

Rishabh Pant in ODI: ભારતીય વનડે ટીમમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. વિકેટકીપર અને બેટર રિષભ પંતને ન્યૂઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની ઘરેલુ વનડે સિરીઝમાંથી બહાર કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ટીમ મેનેજમેન્ટ 2025-26 સિઝનની છેલ્લી ઘરેલુ સિરીઝ પહેલા ફોર્મ અને ટીમના સંતુલનને પ્રાથમિકતા આપવા માંગે છે.

ફોર્મ અને ટીમ સંતુલન મુખ્ય કારણ

રિષભ પંતે ભારત માટે છેલ્લી વનડે 7 ઓગસ્ટ 2024ના રોજ શ્રીલંકા સામે રમી હતી. તે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની વનડે સિરીઝમાં પણ ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચમાં રમવાની તક મળી ન હતી. આ પહેલા તેને ICC T20 વર્લ્ડ કપ 2026 માટે પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ન હતું. હવે પસંદગીકારો ન્યૂઝીલેન્ડ સિરીઝ માટે આગળ વધવાનું મન બનાવી ચૂક્યા છે. હાલમાં ઋષભ પંત વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હીની કેપ્ટનશીપ કરી રહ્યો છે, પરંતુ તેનું પ્રદર્શન પણ ઉતાર-ચઢાવવાળું રહ્યું છે, તેણે શરૂઆતની બે મેચોમાં 5 અને 70 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: વિરાટ-રોહિતના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! વડોદરામાં રમાનારી ભારત Vs ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટનું 1 જાન્યુઆરીથી થશે બુકિંગ

ઈશાન કિશનની વાપસી લગભગ નક્કી

જો પંતને બહાર કરવામાં આવશે તો ઈશાન કિશનની બે વર્ષ કરતાં વધુ સમય બાદ વનડે ટીમમાં વાપસી લગભગ નિશ્ચિત છે. ઈશાને છેલ્લે 11 ઓક્ટોબર 2023ના રોજ વનડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે રમ્યો હતો. ત્યારપછી તેણે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. ઈશાન કિશને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-26માં સૌથી વધુ રન બનાવ્યા અને ઝારખંડને તેનું પ્રથમ ટાઇટલ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જ પ્રદર્શનના આધારે તેને T20 વર્લ્ડ કપની ટીમમાં પણ સ્થાન મળ્યું હતું. આ પછી, વિજય હઝારે ટ્રોફીમાં તેણે કર્ણાટક સામે માત્ર 33 બોલમાં સદી ફટકારી, જે કોઈ પણ ભારતીય બેટર દ્વારા બીજી સૌથી ઝડપી લિસ્ટ-A સદી હતી.

શુભમન ગિલ કરશે કેપ્ટનશીપ

શુભમન ગિલની વનડે કેપ્ટન તરીકે વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. ગરદનની ઈજાને કારણે તે દક્ષિણ આફ્રિકા સિરીઝમાંથી બહાર હતો, પરંતુ હવે તે ફિટ થઈને પાછો ફરી રહ્યો છે. જોકે, વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરની ઉપલબ્ધતા પર હજુ પણ શંકા છે કારણ કે તેને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યો નથી. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં કેએલ રાહુલે ટીમની કમાન સંભાળી હતી અને ભારતને 2-1થી સિરીઝ જીતાડી હતી.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ 11મીથી 18મી જાન્યુઆરી 2026 દરમિયાન રમાશે, અને આ અઠવાડિયાના અંત સુધીમાં ટીમની જાહેરાત થઈ શકે છે. જો પંતને બહાર રાખવામાં આવે છે, તો તેને તેના વનડે કરિયરમાં એક અસ્થાયી વિરામ માનવામાં આવશે, કારણ કે ટીમ મેનેજમેન્ટ વર્તમાન ફોર્મને વધુ મહત્ત્વ આપી રહ્યું છે.