Get The App

દ.આફ્રિકા સામે હાર બાદ કેપ્ટન રાહુલનું દર્દ છલકાયું, પરાજયના કારણો પણ જણાવ્યાં...

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
દ.આફ્રિકા સામે હાર બાદ કેપ્ટન રાહુલનું દર્દ છલકાયું, પરાજયના કારણો પણ જણાવ્યાં... 1 - image


India vs South Africa: ભારતીય ટીમને રાયપુર વનડેમાં દક્ષિણ આફ્રિકા સામે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. બુધવારે (ત્રીજી ડિસેમ્બર) રમાયેલી આ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા માટે 359 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો, જે તેમણે ચાર બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો. ભારતીય ટીમ માટે વિરાટ કોહલી (105) અને રુતુરાજ ગાયકવાડે (105) સદી ફટકારી હતી, પરંતુ તે નિષ્ફળ ગઈ હતી. આ જીત સાથે, દક્ષિણ આફ્રિકાએ વનડે શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ છઠ્ઠી ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે.

ટોસ હારવા બદલ કેપ્ટને પોતાને કોસ્યા

રાયપુર વનડેમાં હાર બાદ ભારતીય કેપ્ટન કેએલ રાહુલ નિરાશ હતા અને તેમણે હારના મુખ્ય કારણો જાહેર કર્યા હતા. તેમનું માનવું હતું કે બીજી ઇનિંગમાં પડેલા ઝાકળને કારણે બોલિંગ કરવી લગભગ અશક્ય બની ગઈ હતી, અને ટોસ જીતવો નિર્ણાયક સાબિત થયો.

આ પણ વાંચો: હર્ષિત રાણાને જુસ્સામાં કરેલી ભૂલ ભારે પડી! ICCએ ફટકાર લગાવી, 1 ડિમેરિટ પોઈન્ટ આપ્યો; જાણો કારણ

કેએલ રાહુલે પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું કે, 'ઝાકળને કારણે બીજી ઇનિંગમાં બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. અમ્પાયરોએ ઘણી વખત બોલ બદલ્યો, પરંતુ ટોસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સતત બે ટોસ હારવા બદલ હું મારી જાતને કોસું છું.'

મિડલ ઓર્ડરે 25 રન ઓછા કર્યા

રાહુલે બેટિંગમાં પણ કચાસ રહી ગઈ હોવાનું સ્વીકાર્યું હતું. તેમનું માનવું હતું કે જો મિડલ ઓર્ડરે વધુ યોગદાન આપ્યું હોત તો સ્કોરબોર્ડ પર 20-25 રન વધારે હોત, જે નિર્ણાયક બની શક્યા હોત. તેમણે કહ્યું કે, 'હંમેશાં એવી વસ્તુઓ હોય છે જે આપણે વધુ સારી રીતે કરી શક્યા હોત. 350 એક સારો સ્કોર લાગે છે, પરંતુ ડ્રેસિંગ રૂમમાં, આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ કે ભીના બોલથી બોલિંગ કરતી વખતે બોલરોને મદદ કરવા માટે બીજા 20-25 રન કેવી રીતે ઉમેરવા.'

કેએલ રાહુલે ફિલ્ડિંગમાં પણ સરળ રન આપ્યા હોવાનું સ્વીકારીને ત્રણેય વિભાગોમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રુતુરાજ ગાયકવાડના વખાણ

રાહુલે વિરાટ કોહલી અને ખાસ કરીને યુવા ઓપનર રુતુરાજ ગાયકવાડના બેટિંગ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, 'વિરાટે 53 વખત આવું કર્યું છે; અમે તેનું કામ જાણીએ છીએ. પણ રુતુરાજે જે રીતે બેટિંગ કરી તે જોવા જેવું હતું. રુતુરાજે સ્પિનરોને શાનદાર રીતે રમ્યા, અંતર શોધી કાઢ્યું, અને ફિફ્ટી પછી તેણે જે ઝડપે રન બનાવ્યા તેનાથી અમને 20 વધારાના રન મળ્યા.'

Tags :